મહીસાગર: અજંતા હાઈડ્રો પાવર પ્રોજેક્ટ દુર્ઘટના, 5 કર્મચારીઓ હજુ લાપતા, શોધખોળ અભિયાન ચાલુ

મહીસાગર: અજંતા હાઈડ્રો પાવર પ્રોજેક્ટ દુર્ઘટના, 5 કર્મચારીઓ હજુ લાપતા, શોધખોળ અભિયાન ચાલુ

મહીસાગર જિલ્લાના કડાણા ડેમમાંથી ઉપરવાસના ભારે વરસાદને કારણે 3 લાખ ક્યુસેક પાણી છોડાતા અંજતા પ્રાઈવેટ લિમિટેડ હાઈડ્રો પાવર પ્રોજેક્ટ ખાતે ગંભીર દુર્ઘટના સર્જાઈ છે. તાત્રોલી નજીક આવેલા પ્લાન્ટમાં પાણીનો પ્રવાહ એકાએક વધી જતાં 200 ફૂટ નીચે કામ કરી રહેલા પાંચ કર્મચારીઓ પાણીમાં તણાઈ ગયા. 24 કલાકથી વધુ સમય વિત્યા છતાં કોઈ પત્તો લાગ્યો નથી.

NDRF, ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને બચાવ કામગીરી હાથ ધરાઈ રહી છે. હાઈડ્રો પાવરમાં ભરાયેલા પાણીને પંપોથી ખાલી કરવાની કામગીરી પણ ચાલી રહી છે. ગુમ થયેલા કર્મચારીઓના પરિવારજનોમાં ભારે આક્રંદ અને ચિંતા ફેલાઈ છે.

બચી ગયેલા એક કર્મચારીએ જણાવ્યું કે, બપોરે 3 વાગ્યે અચાનક બ્લાસ્ટ થયો અને પાણીનો પ્રવાહ એટલી ઝડપથી અંદર ઘૂસી ગયો કે 15 જેટલા કામદારોમાંથી માત્ર 10 લોકો જ બહાર આવી શક્યા. પાંચ લોકો પાણીમાં તણાઈ ગયા.

ગુમ થયેલા કર્મચારીઓમાં દોલતપુરા, દવાલીયા, ઓકલીયા અને ગોધરાના રહીશોનો સમાવેશ થાય છે. તેમની શોધ માટે અદ્યતન ‘ડીપ ટ્રેકર અંડરવોટર રિમોટલી ઓપરેટેડ વ્હીકલ’નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જે 200 મીટર ઊંડે જઈ શકે છે અને 100 કિલો સુધીનો વજન બહાર લાવી શકે છે.

કર્મચારીઓએ આક્ષેપ કર્યો છે કે, પાણી છોડાયા હોવા છતાં કંપનીના અધિકારીઓએ તેમને અંદર કામ કરવા દીધા હતા. આ હાઈડ્રો પાવર પ્રોજેક્ટ મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના સાથે સંકળાયેલા જયસુખ પટેલનો હોવાનું પણ ખુલાસો થયો છે. ઘટનાની તપાસ જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ અધિકારીઓની દેખરેખ હેઠળ ચાલી રહી છે.

 

Leave a Reply

Your email address will not be published.