નવી દિલ્હી : મણિપુરમાં ગયા બે વર્ષથી ચાલી રહેલી વંશીય હિંસા અને તનાવ વચ્ચે હવે શાંતિ સ્થાપવાના પ્રયાસો સફળ થયા છે. કુકી નેશનલ ઓર્ગેનાઇઝેશન (KNO) અને યુનાઇટેડ પીપલ્સ ફ્રન્ટ (UPF)એ ગુરુવારે કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય સાથે ઐતિહાસિક કરાર કર્યો છે. આ કરારમાં મણિપુરની પ્રાદેશિક અખંડિતતા જાળવીને રાજ્યમાં શાંતિ અને સ્થિરતા લાવવા પર ભાર મૂકાયો છે.
આ સમજૂતી પછી રાજ્યની જીવનરેખા ગણાતા નેશનલ હાઇવે-2 ફરી ખુલ્યો છે, જેના કારણે મણિપુરના નાગરિકોને દૈનિક જરૂરિયાતોની પુરવઠામાં મોટી રાહત મળી છે.
બન્ને સંગઠનોએ પોતાના શસ્ત્રો કેન્દ્રીય દળો અને BSFને સોંપવાની સંમતિ આપી છે અને શાંતિ જાળવવામાં સહયોગ આપવાની ખાતરી આપી છે. કેન્દ્ર સરકારે પણ તેમના વિસ્તારોમાંથી વિદેશી તત્વોને બહાર કાઢવા પગલાં લેવાની વાત કરી છે.
ગયા વર્ષે 3 મે, 2023થી મૈતેઈ સમુદાયે શેડ્યુલ્ડ ટ્રાઇબનો દરજ્જો માંગતા અને તેના વિરોધમાં કૂચ પછી મણિપુરમાં હિંસા ફાટી નીકળી હતી. આ હિંસામાં અત્યાર સુધી 260થી વધુ લોકોનાં મોત થયા છે અને હજારો લોકો રાહત શિબિરોમાં રહેવા મજબૂર બન્યા હતા.
હવે ત્રિપક્ષીય કરાર (ગૃહ મંત્રાલય, મણિપુર સરકાર, KNO અને UPF વચ્ચે) “સસ્પેન્શન ઓફ ઓપરેશન્સ (SoO)” હેઠળ અમલમાં આવશે, જે એક વર્ષ સુધી માન્ય રહેશે. કરારમાં વાતચીત દ્વારા હલ શોધવાનો અને રાજ્યમાં કાયમી શાંતિ સ્થાપવાનો માર્ગ થયો છે.
પ્રતિબદ્ધતા મુજબ, કુકી-ઝો કાઉન્સિલ ભારત સરકારની સુરક્ષા દળો સાથે મળીને નેશનલ હાઇવે-2 પર કાયદો અને વ્યવસ્થા જાળવી રાખશે, જેથી રાજ્યમાં લોકોની દૈનિક જરૂરિયાતો સમયસર પહોંચી શકે.

Leave a Reply