નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે જીએસટીમાં વ્યાપક સુધારાનો અમલ આ વર્ષે નવરાત્રીના પ્રથમ નોરતા (૨૨ સપ્ટેમ્બર)થી શરૂ થશે. આ સુધારા ખાસ કરીને મહિલાઓ એટલે કે માતૃશક્તિ માટે લાભદાયક બનશે. વડાપ્રધાને જણાવ્યું કે, સમય સાથે પરિવર્તન વિના ભારતને વૈશ્વિક સ્તરે યોગ્ય સ્થાન અપાવવું શક્ય નથી, તેથી જ આ સુધારાનો અમલ કરવામાં આવ્યો છે.
પીએમ મોદીએ યાદ અપાવ્યું કે ૧૫ ઑગસ્ટે લાલકિલ્લાથી પોતાના સંબોધનમાં તેમણે આત્મનિર્ભર ભારત માટે “નેક્સ્ટ જનરેશન રિફોર્મ” લાવવાની જાહેરાત કરી હતી. હવે નવા જીએસટી સુધારાથી સામાન્ય જનતા માટે જરૂરી વસ્તુઓ પર ટેક્સમાં નોંધપાત્ર ઘટાડો કરવામાં આવ્યો છે.
મોદીએ જણાવ્યું કે આ સુધારાઓને કારણે ધનતેરસ અને દિવાળીની ઉજવણી વધુ આનંદમય બનશે. તેમણે ઉમેર્યું કે જીએસટી ૨.૦ દેશ માટે સપોર્ટ અને ગ્રોથનો ડબલ ડોઝ છે, જે ગરીબ, નીચલા મધ્યમ વર્ગ, મધ્યમ વર્ગ, વિદ્યાર્થીઓ, ખેડૂતો અને મહિલાઓ સહિત દરેક વર્ગને સીધો લાભ આપશે. યુવાનો માટે ફિટનેસ ક્ષેત્રની સેવાઓ જેમ કે જિમ, સલૂન અને યોગ પર પણ જીએસટી ઘટાડવામાં આવ્યો છે.
વડાપ્રધાને અગાઉની સરકારોને આડે હાથ લેતા કહ્યું કે, કોંગ્રેસના સમયમાં સામાન્ય સામાનથી લઈને દવા અને જીવન વીમા સુધી ભારે ટેક્સ વસૂલવામાં આવતો હતો. જો તે જ પરિસ્થિતિ આજે હોત તો નાગરિકોને ૧૦૦ રૂપિયાની વસ્તુ પર ૨૦-૨૫ રૂપિયાનો ટેક્સ ચૂકવવો પડ્યો હોત. નવા સુધારા ભારતના અર્થતંત્રને વધુ સરળ, પારદર્શક અને વિકાસમુખી બનાવશે એમ મોદીએ જણાવ્યું.

Leave a Reply