લાલ કિલ્લા પરિસરમાંથી 1 કરોડનું સોના-હીરા જડિત કળશ ચોરાયું, પોલીસે શોધ શરૂ કરી

લાલ કિલ્લા પરિસરમાંથી 1 કરોડનું સોના-હીરા જડિત કળશ ચોરાયું, પોલીસે શોધ શરૂ કરી

દિલ્હી: ઐતિહાસિક લાલ કિલ્લા પરિસરમાં ધાર્મિક સમારોહ દરમ્યાન લગભગ 1 કરોડ રૂપિયાની કિંમતનું સોના અને હીરા જડિત કળશ ચોરી જવાના બનાવે ચકચાર મચી ગયો છે. આ કળશ 760 ગ્રામ સોનાથી બનેલું હતું અને લગભગ 150 ગ્રામ હીરા, માણેક તથા નીલમણિથી શણગારેલું હોવાનું પોલીસએ જણાવ્યું.

આ ધાર્મિક વિધિ 28 ઑગસ્ટથી લાલ કિલ્લાના 15 ઑગસ્ટ પાર્ક ખાતે શરૂ થઈ હતી અને 9 સપ્ટેમ્બર સુધી ચાલવાની છે. સિવિલ લાઇન્સના ઉદ્યોગપતિ સુધીર જૈન દરરોજ પૂજા માટે પોતાના ઘરેથી કિંમતી કળશ લાવતા હતા. મંગળવારે જ્યારે કળશ સ્ટેજ પર મૂકવામાં આવ્યું ત્યારે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા કાર્યક્રમમાં પહોંચતા આયોજકો તેમનાં સ્વાગતમાં વ્યસ્ત થઈ ગયા. આ દરમિયાન કળશ પર નજર રહી નહોતી અને થોડા સમય બાદ તે ગુમ હોવાનું બહાર આવ્યું.

કોતવાલી પોલીસે તપાસ હાથ ધરી છે. સીસીટીવી ફૂટેજમાં જોવા મળ્યું કે એક શખ્સ ઘણા દિવસોથી ધોતી-કુર્તા પહેરીને સ્થળે આવતો હતો અને આયોજકો તથા ભક્તોમાં ભળી ગયો હતો. ઓમ બિરલા કાર્યક્રમમાં પહોંચતા જ સર્જાયેલી અફરાતફરીનો લાભ લઈને તેણે કળશ છુપાવી ભાગી જવાનું પોલીસને પ્રાથમિક તારણ છે. હાલ શંકાસ્પદની ઓળખ થઈ ચૂકી છે અને પોલીસે તેને ઝડપી લેવા માટે પ્રયત્નો શરૂ કર્યા છે.

 

Leave a Reply

Your email address will not be published.