નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે શિક્ષણ વ્યવસ્થાને લઈને એક મહત્ત્વપૂર્ણ ચુકાદો આપતાં જણાવ્યું કે હવે શિક્ષકો માટે નોકરી ચાલુ રાખવા અથવા બઢતી મેળવવા માટે ટિચર્સ એલિજિબિલિટી ટેસ્ટ (TET) પાસ કરવી ફરજિયાત રહેશે. આ નિર્ણય બાદ દેશભરના શિક્ષકોમાં ભારે નારાજગી ફેલાઈ છે અને શિક્ષક સંઘોએ વિરોધની તૈયારી શરૂ કરી છે.
અખિલ ભારતીય પ્રાથમિક સંઘે સ્પષ્ટ કર્યું છે કે નિમણૂકના સમયે જે શરતો લાગુ પડતી હતી, તે જ શરતો પર શિક્ષકોની નોકરી યથાવત રહેવી જોઈએ. સંઘે દલીલ કરી છે કે જો ભરતી સમયે TET ફરજિયાત ન હતું, તો હવે તેને શરતોમાં સામેલ કરવું યોગ્ય નથી.
સંધના પ્રમુખ સુશીલ પાંડે અને સેક્રેટરી મનોજ કુમાર સહિત વિવિધ રાજ્યોના નેતાઓ દિલ્હી આવીને વકીલો સાથે ચર્ચા કરી રહ્યા છે. સંઘે સરકાર સાથે વાતચીત કરી કોર્ટના નિર્ણયમાં રાહત અપાવવાનો દબાણ બનાવવાની યોજના બનાવી છે. સાથે કાનૂની વિકલ્પો પણ શોધી રહ્યા છે.
ન્યાયાધીશ દીપાંકર દત્તા અને ન્યાયાધીશ ઓગસ્ટિન જ્યોર્જ મસીહની બેન્ચે પોતાના આદેશમાં જણાવ્યું કે જેમની નોકરીને પાંચ વર્ષથી વધુ સમય બાકી છે, તે શિક્ષકોને TET પાસ કરવી ફરજીયાત છે. જો તેઓ નિષ્ફળ રહેશે, તો રાજીનામું આપવું પડશે અથવા ફરજિયાત નિવૃત્તિ લેવી પડશે. હાંલકે, માત્ર પાંચ વર્ષ બાકી રહેલા શિક્ષકોને આ મામલે રાહત આપવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટના આ નિર્ણય બાદ શિક્ષક સંઘે લાંબી લડાઈ લડવાનો સંકેત આપ્યો છે અને સરકારને સંશોધન કરવા દબાણ કરવાની તૈયારી કરી છે.

Leave a Reply