બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદને કારણે સર્જાયેલી આફત દરમિયાન વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા રાઉન્ડ ધ કલોક રાહત અને બચાવ કામગીરી હાથ ધરાઈ રહી છે.
જિલ્લા કલેક્ટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર સતત અસરગ્રસ્ત વિસ્તારોમાં કામ કરી રહ્યું છે, જ્યારે જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુમ્બેના નેતૃત્વમાં 3 ડી.વાય.એસ.પી., 8 પી.આઈ. અને 150થી વધુ પોલીસ જવાનો લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરીમાં જોડાયા છે.

સુઈગામ, ભાભર, વાવ અને થરાદ તાલુકાના અનેક ગામોમાંથી અત્યાર સુધીમાં 63થી વધુ લોકોને રેસ્ક્યુ કરીને સુરક્ષિત સ્થાનો પર સ્થળાંતર કરવામાં આવ્યા છે. સુઈગામ તાલુકાના ભરડવા, ભાટવરવાસ અને તીર્થગામ સહિતના વિસ્તારોમાં પોલીસ જવાનો જનતાની પડખે ઉભા રહી બચાવ કામગીરી કરી રહ્યા છે.
વરસાદના કારણે સર્જાયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઈને સુઈગામ અને વાવ તાલુકાની તમામ શાળાઓ, કોલેજો અને આંગણવાડી કેન્દ્રોમાં આજે તા. 10 સપ્ટેમ્બર, 2025ના રોજ રજા જાહેર કરવામાં આવી છે.
પોલીસ અને વહીવટી તંત્ર ‘સેવા, સુરક્ષા અને શાંતિ’ના સૂત્ર સાથે પૂરગ્રસ્ત વિસ્તારોમાં દિવસ-રાત કામ કરી રહ્યું છે જેથી કોઈપણ નાગરિકને મુશ્કેલીનો સામનો ન કરવો પડે.

Leave a Reply