પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં બે અલગ-અલગ નદી દુર્ઘટનાઓમાં કુલ પાંચ યુવકોના મોત થયા હોવાની ઘટના સામે આવી છે, જેના કારણે સમગ્ર પંથકમાં શોકનું મોજું ફેલાયું છે.
આ ઘટના 9 સપ્ટેમ્બરે બની હતી, જ્યારે નળિયા ગામ નજીક પસાર થતી ખારી નદીમાં 9 યુવકો ડૂબ્યા હતા. સ્થાનિક લોકો અને તંત્રની મદદથી 4 યુવકોને જીવતા બચાવી લેવાયા હતા, જ્યારે 2ના મોત થયા હતા અને 3 યુવકો ગુમ હતા. SDRFની ટીમ દ્વારા શોધખોળ હાથ ધરતાં ગુમ થયેલા 1 યુવકનો મૃતદેહ મળ્યો હતો.

આ ઉપરાંત, રણમલપુરા ગામ નજીકની નદીમાં બીજી દુર્ઘટનામાં 3 યુવકો ડૂબ્યા હતા. જેમાંથી 2ને બચાવી લેવાયા હતા જ્યારે 1 યુવક ગુમ હતો. SDRF દ્વારા સતત શોધખોળ બાદ આજે 10 સપ્ટેમ્બરે બે મૃતદેહ મળી આવ્યા છે. આમ બંને સ્થળોએ બનેલી દુર્ઘટનાઓમાં અત્યાર સુધી કુલ 5 યુવકોના મોત થયા છે.
જિલ્લા વહીવટીતંત્ર અને SDRFની ટીમો સ્થળ પર તાત્કાલિક પહોંચી બચાવ અને શોધખોળ કામગીરી કરી રહી છે. સ્થાનિક લોકોમાં ભારે દુઃખ અને ચિંતા વ્યાપી છે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે ચેતવણી અને સલામતીના પગલાં લેવા માંગ ઉઠી છે.

Leave a Reply