વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેપાળમાં ચાલી રહેલા યુવાનોના આંદોલન અને હિંસક પ્રદર્શનો અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. હિમાચલ પ્રદેશ અને પંજાબથી પરત ફર્યા બાદ તેમણે કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની બેઠક બોલાવી અને નેપાળની હાલની પરિસ્થિતિ અંગે ચર્ચા કરી. બાદમાં તેમણે સામાજિક મિડિયા પ્લેટફોર્મ X પર સંદેશ આપ્યો, જેમાં તેમણે લખ્યું કે નેપાળમાં થયેલી હિંસા હૃદયવિદારક છે અને અનેક યુવાનોના મોત થવાથી તેઓ દુઃખી છે.
મોદીએ જણાવ્યું કે નેપાળની સ્થિરતા, શાંતિ અને સમૃદ્ધિ ભારત માટે અત્યંત મહત્વપૂર્ણ છે. તેમણે નેપાળના તમામ નાગરિકોને વિનમ્ર અપીલ કરી કે તેઓ શાંતિનું સમર્થન કરે અને એકતા સાથે આગળ વધે. વડાપ્રધાને આ પણ જણાવ્યું કે ભારત પરિસ્થિતિ પર બારીકીથી નજર રાખી રહ્યું છે અને નેપાળની જનતા સાથે છે.
સોશિયલ મીડિયા પ્રતિબંધ બાદ પ્રદર્શનો વધુ ઉગ્ર બન્યા છે. વિદ્યાર્થીઓના નેતૃત્વમાં શરૂ થયેલા આ આંદોલને સરકાર અને રાજકીય નેતાઓ સામે ભ્રષ્ટાચાર અને જનતાની અવગણનાના આરોપ લગાવ્યા. પ્રદર્શનો દરમિયાન પૂર્વ વડાપ્રધાન ઝલનાથ ખનાલના ઘરને આગ લગાડવામાં આવી હતી, જેમાં તેમની પત્ની રાજલક્ષ્મી ચિત્રકાર ગંભીર રીતે દાઝી ગઈ અને બાદમાં તેમનું અવસાન થયું.
ટોળાએ પૂર્વ વડાપ્રધાન કેપી શર્મા ઓલી, રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલ, પુષ્પ કમલ દહલ, શેર બહાદુર દેઉબા અને અન્ય નેતાઓના ઘરો તથા સંપત્તિઓને પણ નિશાન બનાવ્યા.
કાઠમંડૂ અને લલિતપુરમાં ટાયર સળગાવી રસ્તા જામ કરવામાં આવ્યા, પથ્થરમારો અને આગચંપી થઈ. સરકાર દ્વારા સોશિયલ મીડિયા પરથી પ્રતિબંધ હટાવી દેવાયા પછી પણ હિંસા ચાલુ રહી. આ તંગ પરિસ્થિતિ વચ્ચે ઓલીએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપ્યું છે અને હાલ નેપાળ સેનાએ સુરક્ષા સત્તા સંભાળી લીધી છે.


Leave a Reply