અમેરિકા અને ભારત વચ્ચે વેપાર સંબંધોને લઈને નવી રાજનૈતિક હલચલ જોવા મળી રહી છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સતત ભારત વિરુદ્ધ કડક વલણ દાખવ્યા બાદ અચાનક મોટો ફેરફાર કર્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર તેમણે જાહેર કર્યું કે અમેરિકા ભારત સાથેના વેપાર અવરોધો દૂર કરવા સંવાદ કરી રહ્યું છે અને તેઓ ટૂંક સમયમાં જ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ચર્ચા કરવા આતુર છે.
ટ્રમ્પે પોતાના પોસ્ટમાં લખ્યું હતું કે, “મને ખુશી છે કે ભારત અને અમેરિકા વચ્ચે વેપાર અવરોધોને દૂર કરવા અંગે મંત્રણા ચાલી રહી છે. હું આગામી અઠવાડિયામાં મારા ખૂબ જ સારા મિત્ર વડા પ્રધાન મોદી સાથે વાતચીત કરવા ઉત્સુક છું. મને વિશ્વાસ છે કે આ ચર્ચા બંને મહાન દેશો વચ્ચે એક મહત્વપૂર્ણ અને સફળ નિષ્કર્ષ સુધી પહોંચશે.”

ટ્રમ્પની આ પોસ્ટને તરત જ પ્રતિસાદ આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર પોતાના અભિપ્રાય જાહેર કર્યા. મોદીએ કહ્યું કે, “ભારત અને અમેરિકા ઘનિષ્ઠ ભાગીદાર છે. વેપાર અવરોધોને દૂર કરવા અંગેની ચાલી રહેલી ચર્ચા બંને દેશોની ભાગીદારીને નવી દિશા આપશે. મને વિશ્વાસ છે કે બંને દેશોની ટીમો જલદીથી જલદી ચર્ચા પૂર્ણ કરશે અને તે આપણા લોકો માટે ઉજ્જવળ અને સમૃદ્ધ ભવિષ્યનું નિર્માણ કરશે. હું પણ અમેરિકન પ્રમુખ સાથે વાતચીત કરવા આતુર છું.”

આ પોસ્ટ્સ બાદ સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે કે ભારત અને અમેરિકા વચ્ચે વેપાર સંબંધોને લઈને ચાલી રહેલા મતભેદો હવે હળવા થઈ રહ્યા છે. નિષ્ણાતો માને છે કે જો આવનારા સમયમાં બંને દેશો વેપાર અવરોધોને દૂર કરવામાં સફળ થશે તો તે દ્વિપક્ષીય વેપારમાં ભારે વૃદ્ધિ લાવી શકે છે.
ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર સંબંધો વિશ્વ અર્થવ્યવસ્થામાં મહત્વની ભૂમિકા ભજવે છે. ટેકનોલોજી, રક્ષા, કૃષિ અને સર્વિસ સેક્ટર જેવા ક્ષેત્રોમાં બંને દેશો એકબીજાના અગત્યના ભાગીદાર રહ્યા છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં ટેરિફ અને નીતિ સંબંધિત મુદ્દાઓને કારણે તણાવ સર્જાયો હતો. હવે ટ્રમ્પના તાજેતરના નિવેદન અને મોદીના સકારાત્મક પ્રતિસાદને કારણે બંને દેશોની વચ્ચે વિશ્વાસ અને સહકારની નવી શરૂઆત થઈ શકે છે.

Leave a Reply