નેપાળમાં ચાલી રહેલા હિંસક આંદોલન અને અશાંતિને ધ્યાનમાં રાખીને ભારતે ભારત-નેપાળ સરહદ સંપૂર્ણપણે સીલ કરવાનો નિર્ણય લીધો છે. આ પગલા સાથે મહેન્દ્રનગરથી દિલ્હી અને દેહરાદૂન સુધી ચાલતી ભારત-નેપાળ મૈત્રી બસ સેવા મંગળવારથી બંધ કરી દેવામાં આવી છે. સરહદ બંધ થતા બંને દેશો વચ્ચે નાગરિકોની અવરજવર ઠપ થઈ ગઈ છે અને વેપાર પણ અટકી ગયો છે.
બસ સેવા બંધ થવાથી અનેક નેપાળી નાગરિકો ભારતમાં ફસાયા છે અને ઘણા ભારતીયો હાલ નેપાળમાં અટવાઈ ગયા છે. ભારત સરકાર આવા ભારતીયોને સલામત રીતે બહાર કાઢવા પ્રયત્નો તેજ કરી રહી છે. સરહદે સુરક્ષા કડક કરવામાં આવી છે અને છુપાઈને થતી આવન-જાવન પર કડક નજર રાખવામાં આવી રહી છે.

નેપાળમાં હાલ તણાવપૂર્ણ સ્થિતિ છે. હિંસક ટોળાઓ દ્વારા સંસદ ભવન, રાષ્ટ્રપતિ ભવન, સુપ્રીમ કોર્ટ અને અનેક રાજકીય નેતાઓના ઘરોમાં આગચંપી કરવામાં આવી છે. દેશભરમાં લૂંટફાટ અને હિંસાની ઘટનાઓ સામે આવી રહી છે. નેપાળની સેના મંત્રીઓને હેલિકોપ્ટર દ્વારા સુરક્ષિત સ્થળે ખસેડી રહી છે.
આ આંદોલનને ‘Gen-Z રિવોલ્યુશન’ નામ આપવામાં આવ્યું છે, કારણ કે તેનો આગ્રહ યુવા અને વિદ્યાર્થીઓ કરી રહ્યા છે. સરકારે 26 સોશિયલ મીડિયા પ્લેટફોર્મ (જેમ કે ફેસબૂક, એક્સ, ઈન્સ્ટાગ્રામ, વ્હોટ્સએપ અને યુટ્યુબ) પર પ્રતિબંધ મૂક્યો હતો, જેને અભિવ્યક્તિ સ્વતંત્રતા પર હુમલો ગણાવીને યુવાનો રસ્તા પર ઉતર્યા હતા અને હિંસક પ્રદર્શન શરૂ થયા છે.

Leave a Reply