પાટણ જિલ્લાના સાંતલપુર નજીક ભારતમાલા રોડ પર આવેલા બકુત્રા ગામ નજીકના ટોલ બૂથ પર ગુરુવારે એક ગંભીર બનાવ સામે આવ્યો હતો, જેમાં રસ્તાની ખરાબ હાલત અંગે ટોલ વસૂલાતને લઈને થયેલા વિવાદ બાદ ટોલ બૂથના કર્મચારીઓએ દાદાગીરી દાખવી પરિવાર પર ધોકા અને લાકડી વડે હુમલો કર્યો હતો.
થરાદના દિલીપ સાધુ પોતાના પરિવાર સાથે અંજાઈ જવાના હતા ત્યારે તેમણે ટોલ બૂથ પર ખરાબ રસ્તા હોવા છતાં ટોલ વસૂલવામાં આવતો હોવા અંગે વાંધો ઉઠાવ્યો હતો. પરિવારના આ વાંધા બાદ ટોલ કર્મચારીઓ ગુસ્સે થઈ ગયા અને પરિવાર સાથે ઉગ્ર બોલાચાલી કર્યા બાદ હિંસક બની ગયા.
પીડિત પરિવારે આક્ષેપ કર્યો કે ટોલ કર્મચારીઓએ માત્ર અપશબ્દો બોલ્યા જ નહીં પરંતુ ધોકા-લાકડી વડે મારામારી કરી હતી તેમજ પરિવારની મહિલાઓ સાથે ગેરવર્તન પણ કર્યું હતું.
આ હુમલામાં દિલીપ સાધુના પિતા દામોદરદારસને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી અને તેમના ભાઈ સાગરને ખભામાં ઇજા થઈ હતી, જ્યારે દિલીપ પોતે પણ ઘાયલ થયા હતા. ઈજાગ્રસ્તોને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા.
સમગ્ર બનાવ ટોલ બૂથ પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયો છે, જેના આધારે સાંતલપુર પોલીસ સ્ટેશનમાં હરેશ આહીર, લાલા આહીર, કમા આહીર અને વજા આહીર વિરુદ્ધ ગુનાની નોંધ કરી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
આ બનાવ બાદ વિસ્તારના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને ખરાબ રસ્તા હોવા છતાં ટોલ વસૂલાતના મુદ્દે ફરી ચર્ચા તેજ થઈ છે.

Leave a Reply