થરાદ ખાતેથી સુઈગામ માટે 2000 લોટના પેકેટ અને 24,000 પાણીની બોટલ રવાના

થરાદ ખાતેથી સુઈગામ માટે 2000 લોટના પેકેટ અને 24,000 પાણીની બોટલ રવાના

બનાસકાંઠા જિલ્લામાં સતત વરસાદને પગલે સુઈગામ, ભાભર, વાવ અને થરાદ તાલુકાના પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત કામગીરી તેજ ગતિએ ચાલુ છે.

જિલ્લા કલેકટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર રાઉન્ડ-ધ-ક્લોક કામગીરી કરી રહ્યું છે. અસરગ્રસ્ત ગામોમાં ફૂડ પેકેટ અને પાણીની બોટલનું વિતરણ સક્રિયપણે થઈ રહ્યું છે.

સુઈગામના જેલાણા, નેસડા, ગોલપ, પાડણ, ભરડવા, કાણોઠી, મમાણા, લિંબાળા અને કોરોટી સહિતના ગામોમાં તંત્રના કર્મચારીઓએ પાણીમાં જઈને ઘર-ઘર ફૂડ પેકેટ પહોંચાડ્યા છે.

ફૂડ પેકેટમાં સુખડી, ચવાણું, પાપડી અને ગાંઠિયા જેવા સૂકા નાસ્તાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત, સુઈગામના વિવિધ પૂરની અસરગ્રસ્ત ગામો માટે થરાદ ખાતેથી ખાસ રાહત સામગ્રી મોકલાઈ છે. કુલ 2000 લોટના પેકેટ (1000 ઘઉંના અને 1000 બાજરીના) પાંચ કિલોના પેકમાં ટ્રક મારફતે મોકલાયા છે.

સાથે જ 24,000 પાણીની બોટલ પણ રવાના કરી, સ્થાનિક લોકો સુધી પહોંચી રહે તે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. તંત્રનું આ પગલું પૂરગ્રસ્ત લોકો માટે મોટો રાહતકારક પ્રયાસ ગણાય છે.

 

Leave a Reply

Your email address will not be published.