હિંસા બાદ PM મોદીનો મણિપુર પ્રવાસ: વિસ્થાપિતો સાથે સંવાદ અને 8500 કરોડના પ્રોજેક્ટ્સનું શિલાન્યાસ

હિંસા બાદ PM મોદીનો મણિપુર પ્રવાસ: વિસ્થાપિતો સાથે સંવાદ અને 8500 કરોડના પ્રોજેક્ટ્સનું શિલાન્યાસ

મણિપુરમાં લાંબા સમયથી ચાલી રહેલી અશાંતિ અને હિંસા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલી વાર રાજ્યની મુલાકાતે જઈ રહ્યા છે. સત્તાવાર માહિતી અનુસાર, વડાપ્રધાન 13 સપ્ટેમ્બરે બપોરે 12.15 વાગ્યે મિઝોરમની રાજધાની આઇઝોલથી ચુરાચાંદપુર પહોંચશે, જ્યાં તેઓ વિસ્થાપિત લોકો સાથે સીધો સંવાદ કરશે અને રાજ્યના વિકાસને નવી દિશા આપવાના હેતુથી અનેક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે.

માર્ચ 2023થી મૈતેઈ અને કુકી સમુદાય વચ્ચે થયેલી હિંસાએ મણિપુરને ઝુંઝવ્યું છે, જેના કારણે અનેક લોકોનાં જીવ ગયા હતા અને હજારો લોકો પોતાના ઘરો છોડવા મજબૂર બન્યા હતા. આ પરિસ્થિતિ બાદ PM મોદીની આ પહેલી મુલાકાત છે, જેને કારણે સ્થાનિક સ્તરે લોકોમાં આશા સાથે ઉત્સુકતા જોવા મળી રહી છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન મોદી ચુરાચાંદપુરના પીસ ગ્રાઉન્ડ ખાતે આશરે 7300 કરોડના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે. આ વિસ્તાર કુકી સમુદાય બહુલ હોવાથી વડાપ્રધાનની મુલાકાતનું વિશેષ મહત્વ છે. તેઓ ઇમ્ફાલમાં મેઇતેઈ બહુલ વિસ્તારો માટે 1200 કરોડના માળખાગત પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન પણ કરશે.

વડાપ્રધાનના આગમનને ધ્યાનમાં રાખીને ચુરાચાંદપુર અને ઇમ્ફાલ શહેરમાં હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે અને સમગ્ર રાજ્યમાં કાર્યક્રમને લઇને તૈયારી તેજ બની છે. ફેબ્રુઆરીથી મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ હોવાથી વડાપ્રધાનની મુલાકાતને રાજ્યના શાંતિપ્રક્રિયા અને વિકાસ માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

વહીવટીતંત્ર દ્વારા જાહેર કરાયેલી એડવાઇઝરી મુજબ, 13 સપ્ટેમ્બરના કાર્યક્રમમાં હાજરી આપનારાઓને ચાવી, બેગ, પાણીની બોટલ, રૂમાલ, છત્રી, તીક્ષ્ણ વસ્તુઓ અથવા દારૂગોળો સ્થળ પર લાવવાની મનાઈ છે. સાથે જ 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકો અને બીમાર લોકોને સ્થળ પર ન લાવવાની સલાહ આપવામાં આવી છે.

સુરક્ષા એજન્સીઓએ ઇમ્ફાલ અને ચુરાચાંદપુર બંને જિલ્લામાં સુરક્ષા કડક બનાવી છે, પોલીસ અને અર્ધલશ્કરી દળોની વધારાની તૈનાતી કરવામાં આવી છે અને મુખ્ય માર્ગો પર બેરિકેડિંગ પણ ગોઠવાઈ છે. કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓની ટીમો પહેલાથી જ સ્થળ પર પહોંચીને સુરક્ષા વ્યવસ્થા પર નજર રાખી રહી છે.

વડાપ્રધાન મોદીની આ મુલાકાતથી મણિપુરમાં શાંતિ અને સ્થિરતા પુનઃસ્થાપિત થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. વિકાસલક્ષી પ્રોજેક્ટ્સના શિલાન્યાસથી રાજ્યના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રોજગાર તકોમાં સુધારો થશે અને વિસ્થાપિતોને નવી આશા મળશે, એવો રાજ્ય સરકારનો દાવો છે.

Leave a Reply

Your email address will not be published.