અમદાવાદ: ગુજરાતના 206 જળાશયોમાં હાલ સરેરાશ જળસ્તર 91.15 ટકા નોંધાયું છે. રાજ્યના 111 જળાશયોમાં 100 ટકાથી વધુ જળસ્તર હોવાથી તેઓ છલકાઈ રહ્યા છે, જ્યારે 145 જળાશયો હાઈ એલર્ટ હેઠળ રાખવામાં આવ્યા છે.
મુખ્ય જળાશયોમાં હાથમતી (અરવલ્લી), શેત્રુંજી (ભાવનગર), મચ્છુ-1 અને મચ્છુ-2 (મોરબી), ધાતરવાડી (અમરેલી), રામી (છોટાઉદેપુર), વાઘોડિયા (જામનગર), તેમજ કંકાવટી-નિરૂણા (કચ્છ)નો સમાવેશ થાય છે.

હાલમાં 12 જળાશયો 80 થી 90 ટકા જળસ્તર વચ્ચે હોવાથી એલર્ટ પર છે, જ્યારે 17 જળાશયો 70 થી 80 ટકા જળસ્તર વચ્ચે હોવાથી વોર્નિંગ હેઠળ રાખવામાં આવ્યા છે. 70 ટકાથી ઓછું જળસ્તર ધરાવતા 32 જળાશયો પણ રાજ્યમાં છે.
રીજનલ લેવલ પર જોવામાં આવે તો સૌરાષ્ટ્રના 141માંથી 76, કચ્છના 20માંથી 13 અને દક્ષિણ ગુજરાતના 13માંથી 9 જળાશયો સંપૂર્ણ ભરાયેલા છે. રાજ્યની જીવાદોરી ગણાતો સરદાર સરોવર હાલમાં 92.47 ટકા જળસ્તર સાથે સંતોષકારક સ્થિતિમાં છે.
રાજ્યના જળસંચય વિભાગ મુજબ સતત વરસાદ અને નદી-નાળામાં આવતા પાણીના પ્રવાહને ધ્યાનમાં રાખીને જળાશયોની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને જરૂરી હોય ત્યાં એલર્ટ જારી કરવામાં આવી રહ્યા છે.

Leave a Reply