દિલ્હી-એનસીઆરમાં વધતા વાયુ પ્રદૂષણના મુદ્દે સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું અને સ્પષ્ટ ચેતવણી આપી કે પરાળી સળગાવાની સમસ્યા અટકાવવા માટે કડક પગલાં લેવાં જરૂરી છે. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશે જણાવ્યું કે જો અમુક ખેડૂતોને જેલમાં મોકલવામાં આવે, તો અન્ય ખેડૂતોને સ્પષ્ટ સંદેશ જશે કે બેદરકારી સહન કરવામાં આવશે નહીં.
વરિષ્ઠ વકીલ રાહુલ મહેરાએ દલીલ કરી કે ભૂતકાળમાં ધરપકડ કરાયેલા ખેડૂતોમાં મોટાભાગે નાના ખેડૂતો હતા અને તેમને જેલમાં મોકલવાથી તેમના પરિવારો પર ગંભીર અસર થાય છે.
આ પર CJIએ સ્પષ્ટતા કરી કે કોર્ટ નિયમિત ધરપકડની વાત નથી કરી રહી, પરંતુ માત્ર એક મજબૂત સંદેશ આપવા ઈચ્છે છે જેથી પરાળી બાળવાની ઘટનાઓ ઘટે. તેમણે ઉમેર્યું કે જો પર્યાવરણનું રક્ષણ પ્રાથમિકતા છે તો દંડાત્મક કાર્યવાહીથી દૂર કેમ રહેવું?
સુપ્રીમ કોર્ટે એ પણ જણાવ્યું કે પરાળીમાંથી બાયોફ્યુઅલ બનાવવાની શક્યતા છે અને તેના માટે લાંબી પ્રક્રિયાની જરૂર નથી. ખેડૂતોનું સન્માન જરૂરી છે કારણ કે તેઓ દેશનું પોષણ કરે છે, પરંતુ પર્યાવરણનું રક્ષણ એટલું જ મહત્વપૂર્ણ છે.
એમિકસ ક્યુરી અપરાજિતા સિંહે કોર્ટને માહિતી આપી કે કેન્દ્ર સરકાર ખેડૂતોને સાધનો અને સબસિડી પૂરી પાડી રહી છે – કોર્પોરેટ્સને 80% અને વ્યક્તિગત ખેડૂતોને 50% સુધી – છતાં સમસ્યા યથાવત છે.
CJIએ ચેતવણી આપી કે જો ટૂંક સમયમાં અસરકારક નિર્ણય લેવામાં નહીં આવે તો સુપ્રીમ કોર્ટ પોતાનો આદેશ જારી કરશે.
ASG ભાટીએ કોર્ટને સ્ટેટસ રિપોર્ટ રજૂ કર્યા પછી આવતા અઠવાડિયે સુનાવણી કરવાની વિનંતી કરી, જે કોર્ટ દ્વારા સ્વીકારવામાં આવી. કોર્ટે એ પણ નોંધ્યું કે 2018 થી અનેક આદેશો આપવામાં આવ્યા છે, પરંતુ પરાળી સળગાવાની સમસ્યા હજી યથાવત છે.

Leave a Reply