અમદાવાદમાં નવરાત્રી દરમિયાન મહિલાઓની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે પોલીસએ વિશાળ એક્શન પ્લાન તૈયાર કર્યો છે. 22મી તારીખથી શરૂ થનારી નવરાત્રી દરમિયાન રાત્રે ગરબા સ્થળોએ થતી છેડતીની ઘટનાઓ અને ચોરીને રોકવા માટે શહેરમાં 12 હજારથી વધુ પોલીસકર્મીઓ તૈનાત રહેશે.
ડીસીપી રિમા મુન્શીએ જણાવ્યું કે મહિલાઓની સુરક્ષા, લોકોની સલામતી, ટ્રાફિક કન્ટ્રોલ અને કાયદા-વ્યવસ્થાની જાળવણી માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે.
ગરબા પાર્ટી પ્લોટ્સ પર શી ટીમ મહિલા ACP, PI અને PSI સાથે ટ્રેડીશનલ ડ્રેસમાં હાજર રહીને નજર રાખશે અને અસામાજિક તત્વો પર કડક પગલાં લેશે. ખાસ કરીને સિંધુભવન રોડ, એસજી હાઈવે અને રિવરફ્રન્ટ વિસ્તારમાં સુરક્ષાનો ખાસ બંદોબસ્ત રહેશે.

ટ્રાફિક પોલીસ પણ વિશેષ વ્યવસ્થા કરશે. શહેરમાં ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખીને રાત્રે 2 વાગ્યા સુધી મોટા વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે. ટ્રાફિક પોલીસ, હોમગાર્ડ અને ટીઆરબી સહિત 400 જેટલા કર્મચારીઓને ટ્રાફિક વ્યવસ્થામાં તૈનાત કરવામાં આવશે.
આયોજકોને પાર્કિંગ માટે ઇન-ગેટ, આઉટ-ગેટ અને પાર્કિંગ પ્લોટની યોગ્ય વ્યવસ્થા કરવા સૂચના આપવામાં આવી છે.
ગરબા સ્થળોએ યુનિફોર્મમાં તેમજ ટ્રેડીશનલ ડ્રેસમાં હાજર રહીને પોલીસ સુરક્ષા આપશે. શહેરમાં સક્રિય બાઈકર્સ ગેંગ સામે પણ આ વખતે કડક કાર્યવાહી કરવામાં આવશે જેથી લોકો શાંતિપૂર્ણ રીતે ગરબા મહોત્સવનો આનંદ માણી શકે.

Leave a Reply