ચમોલી વાદળફાટ અને ભૂસ્ખલન: બેના મોત, છ લોકો હજુ ગુમ, રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ

ચમોલી વાદળફાટ અને ભૂસ્ખલન: બેના મોત, છ લોકો હજુ ગુમ, રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ

ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ભારે વરસાદ અને વાદળફાટ બાદ પરિસ્થિતિ ગંભીર બની છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC)ના તાજેતરના અહેવાલ અનુસાર, આ કુદરતી આફતમાં આશરે 45 ઘરો અને 15 પશુવાડા પૂરેપૂરા નાશ પામ્યા છે.

કુંત્રી લગા ફલી ગામમાં કાટમાળ નીચે દટાયેલા ચાર લોકોને જીવતા બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે ધુરમા ગામમાંથી એક વ્યક્તિને સુરક્ષિત બહાર લાવવામાં આવ્યો છે.

SEOCએ જણાવ્યું છે કે કુંત્રી લગા ફલી અને કુંત્રી લગા સરપાની ગામોમાંથી એક-એક મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે છ લોકો હજુ ગુમ છે અને તેમની શોધખોળ યુદ્ધસ્તરે ચાલુ છે. ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને ઋષિકેશના AIIMSમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.

નંદનગર વિસ્તારના ચાર ગામો – કુંત્રી લગા ફલી, કુંત્રી લગા સરપાની, સેરા અને ધુરમા – ભારે અસરગ્રસ્ત છે. આ સ્થળો દહેરાદૂનથી આશરે 260 કિલોમીટર અને ચમોલી જિલ્લાના ગોપેશ્વરથી 50 કિલોમીટર દૂર આવેલાં છે.

ગયા મહિના અંતથી આ વિસ્તારમાં સતત ભૂસ્ખલન અને ઘરોમાં તિરાડો જોવા મળી રહી હતી, જેના કારણે 64 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ દેહરાદૂનમાં SEOCની મુલાકાત લઈને પરિસ્થિતિની સમીક્ષા કરી. તેમણે જણાવ્યું કે વાદળફાટ અને કાટમાળના મોટા પ્રવાહને કારણે ચારેય ગામોમાં વ્યાપક નુકસાન થયું છે અને આ આપત્તિથી 200થી વધુ લોકો પ્રભાવિત થયા છે.

 

Leave a Reply

Your email address will not be published.