ગુજરાત: 2025નું ચોમાસુ પોતાના અંતિમ ચરણમાં છે ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી અનુસાર બંગાળની ખાડીમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન વિકસવાની સંભાવના છે, જેના કારણે નવરાત્રિ દરમિયાન રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. આ સિસ્ટમની અસર રાજ્યના વિશેષ કરીને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જોવા મળી શકે છે.
પરેશ ગોસ્વામી અનુસાર, ચોમાસું ઉત્તર ગુજરાત અને કચ્છમાંથી તો વિદાય લઈ ચૂક્યું છે, પરંતુ ભેજવાળા પવન હજુ ચાલુ છે, જે કારણે ચોમાસું સ્થિર થઈ ગયું છે.

છેલ્લા બે દિવસથી બંગાળની ખાડીની અસસ્થિરતા ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ લાવી રહી છે અને સૌરાષ્ટ્રમાં પણ છુટોછવાયો વરસાદ નોંધાયો છે, જે 22 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેવાની શક્યતા છે.
નવરાત્રિના પહેલા દિવસોમાં સામાન્ય છુટોછવાયો વરસાદ પડશે, પરંતુ નવરાત્રિના છેલ્લા દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે.
આ સિસ્ટમ આંધ્રપ્રદેશથી મહારાષ્ટ્ર થઈ ગુજરાત તરફ પસાર થશે. જો સિસ્ટમના ટ્રેકમાં ફેરફાર ન થાય તો 28 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી રાજ્યમાં ભારે વરસાદ જોવા મળી શકે છે.
આ સાથે, રાજ્યમાં ગાજવીજ અને 35-40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાશે. હવામાન નિષ્ણાતે ગુજરાતીઓ અને ખેડૂતોને આ માટે સાવચેતી રાખવાની સૂચના આપી છે, કારણ કે આ વરસાદ અને પવનથી નુકશાનની શક્યતા છે.

Leave a Reply