ભારતીય રેલ્વે દ્વારા મુસાફરોને રાહત આપતી મોટી જાહેરાત કરવામાં આવી છે. રેલ મંત્રાલયે જણાવ્યું કે 22 સપ્ટેમ્બરથી પ્લેટફોર્મ અને ટ્રેનોમાં ઉપલબ્ધ રેલ નીર પેકેજ્ડ પાણીની બોટલના ભાવ ઘટાડવામાં આવશે.
1 લીટર રેલ નીરની બોટલ, જે પહેલા રૂપિયા 15માં મળતી હતી, હવે રૂપિયા 14માં મળશે, જ્યારે 500 એમએલની બોટલનો ભાવ રૂપિયા 10થી ઘટાડીને રૂપિયા 9 કરવામાં આવ્યો છે.
મંત્રાલયના સત્તાવાર નિવેદન મુજબ, આ ઘટાડેલા ભાવ રેલ્વે સ્ટેશનો અને ટ્રેનોમાં વેચાતી અન્ય બ્રાન્ડની પેકેજ્ડ પાણીની બોટલો પર પણ લાગુ થશે. આ પગલાથી મુસાફરોને પાણી માટે વધારાના પૈસા ચૂકવવા નહીં પડે અને પ્રવાસ દરમિયાન તેમને સસ્તું અને શુદ્ધ પાણી ઉપલબ્ધ રહેશે.

આ જાહેરાત GST 2.0 લાગુ થવા પૂર્વે કરવામાં આવી છે. નવા GST સિસ્ટમમાં ફક્ત બે સ્લેબ – 5% અને 18% રહેશે, જ્યારે 12% અને 28%ના સ્લેબ નાબૂદ કરવામાં આવ્યા છે.
આવશ્યક ચીજવસ્તુઓ જેવી કે સાબુ, ટૂથપેસ્ટ અને બ્રેડ પર ટેક્સ ઘટાડીને 0% અથવા 5% કરવામાં આવ્યો છે. જીવનરક્ષક દવાઓ પરનો ટેક્સ પણ 12%થી ઘટાડીને 0% અથવા 5% કરવામાં આવ્યો છે, જેનાથી સારવાર વધુ સસ્તી બનશે.
રેલ નીરની ઉત્પાદન ક્ષમતા વધારવા માટે IRCTC તેના મહારાષ્ટ્રના અંબરનાથ સ્થિત પ્લાન્ટની ક્ષમતા લગભગ બમણી કરવા તૈયાર છે. આ પ્લાન્ટ દરરોજ આશરે 1.74 લાખ લીટર પેકેજ્ડ પાણીનું ઉત્પાદન કરે છે અને મુંબઈ, મહારાષ્ટ્ર તેમજ ગુજરાતના મુસાફરોને પાણી પૂરું પાડે છે.

Leave a Reply