રેલવેમાં રેલ નીર પાણીની બોટલ થઈ સસ્તી, 22 સપ્ટેમ્બરથી લાગુ થશે નવા દર

રેલવેમાં રેલ નીર પાણીની બોટલ થઈ સસ્તી, 22 સપ્ટેમ્બરથી લાગુ થશે નવા દર

ભારતીય રેલ્વે દ્વારા મુસાફરોને રાહત આપતી મોટી જાહેરાત કરવામાં આવી છે. રેલ મંત્રાલયે જણાવ્યું કે 22 સપ્ટેમ્બરથી પ્લેટફોર્મ અને ટ્રેનોમાં ઉપલબ્ધ રેલ નીર પેકેજ્ડ પાણીની બોટલના ભાવ ઘટાડવામાં આવશે.

1 લીટર રેલ નીરની બોટલ, જે પહેલા રૂપિયા 15માં મળતી હતી, હવે રૂપિયા 14માં મળશે, જ્યારે 500 એમએલની બોટલનો ભાવ રૂપિયા 10થી ઘટાડીને રૂપિયા 9 કરવામાં આવ્યો છે.

મંત્રાલયના સત્તાવાર નિવેદન મુજબ, આ ઘટાડેલા ભાવ રેલ્વે સ્ટેશનો અને ટ્રેનોમાં વેચાતી અન્ય બ્રાન્ડની પેકેજ્ડ પાણીની બોટલો પર પણ લાગુ થશે. આ પગલાથી મુસાફરોને પાણી માટે વધારાના પૈસા ચૂકવવા નહીં પડે અને પ્રવાસ દરમિયાન તેમને સસ્તું અને શુદ્ધ પાણી ઉપલબ્ધ રહેશે.

આ જાહેરાત GST 2.0 લાગુ થવા પૂર્વે કરવામાં આવી છે. નવા GST સિસ્ટમમાં ફક્ત બે સ્લેબ – 5% અને 18% રહેશે, જ્યારે 12% અને 28%ના સ્લેબ નાબૂદ કરવામાં આવ્યા છે.

આવશ્યક ચીજવસ્તુઓ જેવી કે સાબુ, ટૂથપેસ્ટ અને બ્રેડ પર ટેક્સ ઘટાડીને 0% અથવા 5% કરવામાં આવ્યો છે. જીવનરક્ષક દવાઓ પરનો ટેક્સ પણ 12%થી ઘટાડીને 0% અથવા 5% કરવામાં આવ્યો છે, જેનાથી સારવાર વધુ સસ્તી બનશે.

રેલ નીરની ઉત્પાદન ક્ષમતા વધારવા માટે IRCTC તેના મહારાષ્ટ્રના અંબરનાથ સ્થિત પ્લાન્ટની ક્ષમતા લગભગ બમણી કરવા તૈયાર છે. આ પ્લાન્ટ દરરોજ આશરે 1.74 લાખ લીટર પેકેજ્ડ પાણીનું ઉત્પાદન કરે છે અને મુંબઈ, મહારાષ્ટ્ર તેમજ ગુજરાતના મુસાફરોને પાણી પૂરું પાડે છે.

 

Leave a Reply

Your email address will not be published.