ગાંધીનગર: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. તેમના પ્રવાસ દરમિયાન તેઓ સુરત, રાજકોટ, અમદાવાદ અને તેમના લોકસભા ક્ષેત્ર ગાંધીનગરના વિવિધ વિકાસકાર્યોની સમીક્ષા કરશે અને સ્થાનિક લોકોને મળીને તેમની જરૂરિયાતો અને સમસ્યાઓ સમજવાનો પ્રયાસ કરશે.
22 સપ્ટેમ્બરના રોજ અમિત શાહ સુરત અને રાજકોટની મુલાકાત લેશે. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય આગામી વિકાસકાર્યોની સમીક્ષા કરવાનો છે.
તેઓ ગાંધીનગર સંસદીય મતવિસ્તારના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે અને અમદાવાદના જોધપુર અને સરખેજ વિસ્તારમાં ચાલી રહેલા નવરાત્રિના કાર્યક્રમોમાં ભાગ લઈ સ્થાનિક લોકો સાથે સીધો સંપર્ક સાધશે.

23 સપ્ટેમ્બરના રોજ અમિત શાહ ગાંધીનગરમાં 11 જેટલા વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. તે ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે બેઠક યોજીને અમદાવાદમાં ચાલતા ટ્રંક લાઈન કામો અને ગાંધીનગરમાં ગટર તથા પાણી પુરવઠાના કામોની સમીક્ષા કરશે.
આ ઉપરાંત, તેઓ યુવાનોને પ્રોત્સાહન આપવા માટે આયોજિત સ્ટાર્ટઅપ કોન્ક્લેવમાં પણ ભાગ લેશે.
નવરાત્રિના પવિત્ર તહેવારને ધ્યાનમાં રાખીને, ગૃહમંત્રી બીજા દિવસે માણસામાં તેમના કુળદેવીના દર્શન કરી આશીર્વાદ મેળવશે. આ બે દિવસના પ્રવાસ દરમિયાન વિકાસ કાર્યોની સમીક્ષા અને રાજકીય ગતિવિધિઓને ગતિ આપવાનું મંત્રીનું મુખ્ય લક્ષ્ય રહેશે.

Leave a Reply