દેશભરમાં GST 2.0ના રાષ્ટ્રવ્યાપી અમલીકરણ પછી કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે સોમવારે પૂર્વ દિલ્હીના લક્ષ્મીનગર ખાતે વેપારીઓ અને ગ્રાહકો સાથે સીધી મુલાકાત કરી અને નવા સુધારા અંગે ચર્ચા કરી.
આ મુલાકાત દરમિયાન નાણાપ્રધાને વેપારીઓને સંદેશ આપ્યો કે ગ્રાહકો સાથે ‘દેવતાઓ’ જેવો વ્યવહાર કરવો જોઈએ અને નવા GST સુધારાઓનો હેતુ પણ ગ્રાહકોને લાભ પહોંચાડવાનો છે.
નિર્મલા સીતારમણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આપેલો “નાગરિક દેવો ભવ” સંદેશ સરકાર માટે માર્ગદર્શક છે.
તેમણે સમજાવ્યું કે અગાઉ ભારતના રાજ્યોમાં જુદા જુદા ટેક્સને કારણે વેપારીઓને અનેક મુશ્કેલીઓ આવતી હતી, પરંતુ GST લાગુ થયા પછી એક જ ટેક્સ સિસ્ટમથી વ્યવસાયમાં પારદર્શિતા અને સરળતા આવી છે.
તેમણે યાદ અપાવ્યું કે 2017માં GST લાગુ પડ્યો હતો, પરંતુ 2019ની ચૂંટણી અને પછીના COVID-19 રોગચાળાને કારણે મોટા સુધારા શક્ય નહોતા.
ચૂંટણી બાદ વડાપ્રધાન મોદીના માર્ગદર્શન હેઠળ નવા સુધારાઓનો મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો અને GST કાઉન્સિલ દ્વારા મંજૂર કરાયો. નવા સુધારાથી 375થી વધુ રોજિંદી વપરાશની વસ્તુઓના ભાવમાં ઘટાડો થયો છે.
અગાઉના 5%, 12%, 18% અને 28%ના દરને ઘટાડીને હવે માત્ર બે સ્લેબ – 5% અને 18% – રાખવામાં આવ્યા છે.
નવા GST સુધારાથી મોટાભાગની રોજિંદી વસ્તુઓ હવે 5%ના સ્લેબમાં આવતાં હોવાથી સામાન્ય માણસના ખિસ્સા પરનો બોજો ઘટ્યો છે અને ગ્રાહકો માટે જીવનયાપન વધુ સહેલું બન્યું છે.
નાણાપ્રધાને વેપારીઓને ગ્રાહકો પ્રત્યે આદર રાખવા અને ગ્રાહક કેન્દ્રિત વ્યવહાર કરવાની અપીલ કરી.

Leave a Reply