બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવ સામેનો મની લોન્ડરિંગ કેસ હવે ઝડપી ગતિએ આગળ વધશે.
દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટએ આ કેસમાં મહત્વપૂર્ણ આદેશ આપતાં જણાવ્યું છે કે લેન્ડ ફોર જોબ્સ કૌભાંડની સુનાવણી હવે 13 ઓક્ટોબરથી દરરોજ યોજાશે.
આ કેસમાં લાલુ યાદવ સાથે તેમની પત્ની રાબડી દેવી, પુત્રો તેજસ્વી અને તેજપ્રતાપ યાદવ તથા પુત્રીઓ મીસા ભારતી અને હેમા યાદવ આરોપી તરીકે સામેલ છે.
કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે તમામ આરોપીઓને કેસ સંબંધિત દસ્તાવેજોની સ્પષ્ટ નકલો આપવામાં આવશે. આ માટે ED, તપાસ અધિકારી અને આરોપી પક્ષના વકીલો સંયુક્ત રીતે કોર્ટ રેકોર્ડની સમીક્ષા કરશે. આથી સ્પષ્ટ થાય છે કે કેસ હવે વધુ વિલંબ વિના આગળ વધશે.
લેન્ડ ફોર જોબ્સ કૌભાંડ શું છે?
આ કેસ 2004 થી 2009 દરમિયાનનો છે, જ્યારે લાલુ પ્રસાદ યાદવ યુપીએ સરકારમાં રેલ્વે મંત્રી હતા. આરોપ છે કે રેલ્વેમાં ગ્રુપ ડી પદોની ભરતી દરમિયાન ઉમેદવારોને નોકરી આપવાના બદલામાં તેમની પાસેથી જમીન સ્વીકારવામાં આવી હતી.
સીબીઆઈએ આ મામલે લાલુ પરિવાર સામે એફઆઈઆર નોંધાવી હતી, જેમાં જણાવાયું છે કે પરિવારના નામે 7 સ્થળોએ જમીન ટ્રાન્સફર કરવામાં આવી હતી.
ઈડીની ચાર્જશીટ મુજબ, આ કૌભાંડમાં આશરે ₹600 કરોડના મની લોન્ડરિંગનો આરોપ છે. આ કેસમાં શરૂઆતની ચાર્જશીટ બાદ હવે પૂરક ચાર્જશીટ પણ દાખલ થઈ ચૂકી છે.
કોર્ટના આદેશ બાદ 13 ઓક્ટોબરથી દૈનિક સુનાવણી શરૂ થવાથી આ મામલો ઝડપી ગતિએ આગળ વધશે તેવી અપેક્ષા છે.

Leave a Reply