છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં સુરક્ષાદળોએ મોટી કાર્યવાહી અંજામ આપી છે અને બે ટોચના નક્સલી કમાન્ડરોને ઠાર કર્યા છે. આ બંને પર 40-40 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરાયું હતું.
સુરક્ષાદળોએ જેઓને ઠાર કર્યા છે તે રાજૂ દાદા ઉર્ફ કટ્ટા રામચંદ્ર રેડ્ડી અને કોસા દાદા ઉર્ફ કાદરી સત્યનારાયણ તરીકે ઓળખાય છે.
બંને કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયાના (માઓવાદી) કેન્દ્રીય સમિતિના સભ્ય હતા અને લાંબા સમયથી સુરક્ષા દળો માટે માથાનો દુખાવો બન્યા હતા.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું કે નારાયણપુરના અભુજમાડ વિસ્તારમાં આ કામગીરી સુરક્ષા દળોની મોટી જીત છે.
તેમણે લખ્યું કે સુરક્ષાદળો નક્સલવાદી સંગઠનોના ટોચના નેતૃત્વને એક પછી એક ખતમ કરી રહ્યા છે, જેના કારણે લાલ આતંકની કમર તૂટી રહી છે અને 2026 સુધી દેશને નક્સલવાદ મુક્ત કરવાનો લક્ષ્ય ઝડપથી સિદ્ધ થઈ રહ્યો છે.
અથડામણ થયેલા સ્થળ પરથી સુરક્ષાદળોએ મહત્વના હથિયારો જપ્ત કર્યા છે જેમાં એક AK-47, એક INSAS રાઇફલ, બેરલ ગ્રેનેડ લોન્ચર તેમજ મોટી માત્રામાં વિસ્ફોટકો અને નક્સલી સાહિત્ય સામેલ છે.
સુરક્ષા એજન્સીઓના જણાવ્યા મુજબ નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં CRPF, CoBRA જેવી વિશેષ દળોની વધારાની તૈનાતી કરવામાં આવી છે અને જે નક્સલી હથિયાર છોડી રહ્યા નથી તેમની સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે.


Leave a Reply