લખનૌ: સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા આઝમ ખાનને 23 મહિના બાદ જેલમાંથી મુક્તિ મળી છે. ઉત્તર પ્રદેશની સીતાપુર જેલમાંથી તેમને તમામ કાનૂની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ રજા આપવામાં આવી હતી.
આઝમ ખાન વિરુદ્ધ દાખલ 72 કેસોમાં જામીન મળ્યા બાદ તેમના સમર્થકોમાં આનંદની લાગણી જોવા મળી હતી. મુક્તિ પછી સીતાપુર જેલની બહાર તેમના સમર્થકોની ભારે ભીડ એકઠી થઈ હતી. સપા સાંસદ રુચિ વીરા તેમને આવકારવા જેલ બહાર પહોંચી હતી, પરંતુ પોલીસે સુરક્ષા કારણોસર તેમને રોકી દીધી હતી.
આઝમ ખાન પર ડુંગરપુર કેસમાં 10 વર્ષની સજા ફટકારવામાં આવી હતી, પરંતુ અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા તેમને જામીન મળ્યા હતા.
તેમણે હાઈકોર્ટના આદેશ અનુસાર 19 કેસોમાં MP-MLA સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. કોર્ટના આદેશ મુજબ પોલીસ અને મહેસૂલ તંત્રએ રિપોર્ટ રજૂ કર્યા બાદ તેમની જામીન અરજીઓ મંજૂર કરવામાં આવી હતી.

સોમવારે સાંજે લૂંટ, છેતરપિંડી અને અન્ય 19 કેસોમાં રિલીઝ વોરંટ જાહેર થતા તમામ 72 કેસોમાં તેમને મુક્તિ મળી. ખાસ નોંધનીય છે કે આઝમ ખાનનું નામ લાંબા સમયથી કુખ્યાત “ક્વોલિટી બાર કેસ”માં મુખ્ય આરોપી તરીકે હતું.
આરોપ મુજબ 2013માં મંત્રી તરીકે તેમણે સિવિલ લાઇન્સ વિસ્તારની ક્વોલિટી બારની જમીન ગેરકાયદેસર રીતે પોતાની પત્ની તન્ઝીન ફાતિમા અને પુત્ર અબ્દુલ્લા આઝમના નામે ટ્રાન્સફર કરી હતી.
આ કેસમાં 2019માં માલિક ગગન અરોરાની ફરિયાદના આધારે FIR નોંધાઈ હતી અને આખા પરિવારને આરોપી બનાવવામાં આવ્યો હતો.
મે 2025માં MP-MLA કોર્ટે આઝમ ખાનની જામીન અરજી ફગાવી દીધી હતી, પરંતુ સપ્ટેમ્બર 2025માં અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા તેમને રાહત મળતા તેઓ અંતે સીતાપુર જેલમાંથી મુક્ત થયા હતા.

Leave a Reply