2021માં સુરેન્દ્રનગરમાં 86 ગુનાના આરોપી અને તેના પુત્રનું પોલીસે કર્યું એન્કાઉન્ટર

2021માં સુરેન્દ્રનગરમાં 86 ગુનાના આરોપી અને તેના પુત્રનું પોલીસે કર્યું એન્કાઉન્ટર

અમદાવાદ: અંબાપુર મર્ડર કેસના આરોપી વિપુલ પરમારનું તાજેતરમાં એન્કાઉન્ટર થતાં, ગુજરાતમાં બનેલી અગાઉની મોટી એન્કાઉન્ટરની ઘટના ફરી ચર્ચામાં આવી છે.

નવેમ્બર 2021માં સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ગેડીયા ગામે કુખ્યાત ગેંગસ્ટર હનીફ ખાન મલેક અને તેના પુત્ર મદીન મલેકને પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર કર્યા હતા.

આ ઘટના ત્યારે બની હતી, જ્યારે હનીફ ખાને PSI વી.એન. જાડેજા પર તાબડતોબ ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. તેના પુત્ર મદીન ખાને ધારીયું લઈને PSI પર હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.

સ્વબચાવમાં PSIએ પોતાની સર્વિસ રિવોલ્વરથી ગોળીબાર કરતા હનીફ અને મદીન બંનેને ગોળી વાગી અને ઘટના સ્થળે જ તેમનું મોત થયું.

પોલીસ રેકોર્ડ મુજબ, મૃતક આરોપી હનીફ ખાન પર કુલ 86 ગુનાઓ નોંધાયેલા હતા, જેમાંથી 59 ગુનાઓમાં તે વોન્ટેડ હતો. પોલીસ તેને પકડવા પહોંચી ત્યારે તેણે જ હુમલો શરૂ કર્યો હતો, જેના પગલે પોલીસે પ્રતિસાદ આપવો પડ્યો.

એન્કાઉન્ટર બાદ મૃતકના પરિવારજનોએ ગંભીર આક્ષેપો કરતાં પોલીસ પર ઘરમાં ઘુસીને ફાયરિંગ કરવાનો આરોપ મૂક્યો હતો અને મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો. આ ઘટનાએ તે સમયના પોલીસ અભિગમ અને એનકાઉન્ટર પદ્ધતિને લઈને રાજ્યભરમાં ચર્ચા જગાવી હતી.

Leave a Reply

Your email address will not be published.