આ
Karun Nair Cricket Career: ભારતીય ટીમમાં આશાઓથી ભરેલી કરુણ નાયરની વાપસી ઝડપથી નિરાશામાં ફેરવાઈ ગઈ છે. બીસીસીઆઇએ ગુરુવારે (25મી સપ્ટેમ્બર) વેસ્ટ ઇન્ડિઝ સામેની બે ટેસ્ટ મેચની સીરિઝ માટે ટીમની જાહેરાત કરી હતી, પરંતુ આ વખતે કરુણને બહાર રાખવામાં આવ્યો હતો. ત્યારે મુખ્ય પસંદગીકાર અજિત અગરકરે આ નિર્ણય પાછળના કારણો વિશે વાત કરતાં કહ્યું કે, ‘નાયરને મળેલી તકોનો ફાયદો તેણે ના ઊઠાવ્યો.’
પસંદગીકાર અજિત અગરકર શું કહ્યું…
પ્રેસ કોન્ફોરન્સમાં પસંદગીકાર અજિત અગરકરે જણાવ્યું હતું કે, ‘સાચું કહું તો અમને કરુણ પાસેથી થોડી વધુ અપેક્ષા હતી. તેણે ચાર ટેસ્ટ રમી હતી અને અમે ફક્ત એક ઇનિંગ વિશે વાત કરી રહ્યા છીએ. કમનસીબે દરેકને 15-20 ટેસ્ટ રમવાની તક મળતી નથી. અમને લાગ્યું કે આ સમયે ટીમ માટે દેવદત્ત પડિક્કલ વધુ સારો વિકલ્પ હશે.’
પસંદગીકારોનું માનવું છે કે, ભારતીય ટીમમાં સ્થાન જાળવી રાખવું અત્યંત મુશ્કેલ છે, કારણ કે દરેક ખેલાડીને મર્યાદિત તકો મળે છે. કરુણને લાંબા સમય સુધી બેકઅપ તરીકે રાખવો પણ ટીમના હિતમાં નહીં હોય.
પસંદગીકારોએ દેવદત્ત પડિક્કલમાં વિશ્વાસ મૂક્યો
કરુણ નાયરના સ્થાને પસંદગીકારોએ દેવદત્ત પડિક્કલમાં વિશ્વાસ મૂક્યો છે. તે અગાઉ ભારતીય ટેસ્ટ ટીમનો ભાગ રહી ચૂક્યા છે અને ઇંગ્લૅન્ડ સામે ધર્મશાલા ટેસ્ટ રમ્યા છે. તેણે ભારત A માટે સતત સારું પ્રદર્શન કર્યું છે. તાજેતરમાં લખનઉમાં ઓસ્ટ્રેલિયા A સામેની બિનસત્તાવાર ટેસ્ટમાં દેવદત્ત પડિક્કલે શાનદાર સદી ફટકારી હતી.
આ પણ વાંચો: વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ શ્રેણીમાંથી મોહમ્મદ શમીનું પત્તું કપાયું, શું ટેસ્ટ કારકિર્દીનું પતન?
નિષ્ફળતાઓથી કરુણની કારકિર્દી પર સવાલો ઊભા થયા
ઉલ્લેખનીય છે કે, લગભગ 3,000 દિવસ પછી 33 વર્ષીય કરુણ નાયર ભારતીય ટેસ્ટ ટીમમાં પાછો ફર્યો હતો. તે ઇંગ્લૅન્ડ પ્રવાસ પર પાંચમાંથી ચાર ટેસ્ટમાં રમ્યો, પરંતુ ફક્ત 205 રન જ બનાવી શક્યો. તેનો સર્વોચ્ચ સ્કોર માત્ર અડધી સદીનો હતો. સરેરાશની દૃષ્ટિએ તેણે 25.62 રન બનાવ્યા અને ભારત માટે નંબર 3 અને નંબર 6 પર બેટિંગ કરી હતી. પસંદગીકારોને તેની વાપસી માટે ઘણી આશાઓ હતી, પરંતુ તેની સતત નિષ્ફળતાઓથી તેની કારકિર્દી પર સવાલો ઊભા થયા.
વેસ્ટ ઇન્ડિઝ સામેની બે ટેસ્ટ મેચ માટે સંભવિત ભારતીય ટીમ
શુભમન ગિલ (કૅપ્ટન), યશસ્વી જયસ્વાલ, કે. એલ. રાહુલ, સાઈ સુદર્શન, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ (ફક્ત એક ટેસ્ટ રમે એવી સંભાવના), મોહમ્મદ સિરાજ, પ્રસિધ કૃષ્ણા, દેવદત્ત પડિક્કલ, એન. જગદીશન (વિકેટકીપર), નીતીશ કુમાર રેડ્ડી / આકાશ દીપ / અર્શદીપ સિંહ (આમાંથી કોઈ એકને તક મળી શકે છે.)

Leave a Reply