નવી દિલ્હી: ભારતે અગ્નિ પ્રાઇમ મિસાઇલના ટ્રેન આધારિત લોન્ચ સિસ્ટમનું સફળ પરીક્ષણ કર્યું છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ગુરુવારે સવારે સોશિયલ મીડિયા પર માહિતી આપી હતી કે મધ્યમ અંતરના લક્ષ્યો માટે બનેલી આ નવી પેઢીની મિસાઇલને હવે રેલ આધારિત મોબાઇલ લોન્ચર સિસ્ટમથી દાગી શકાય છે. અગ્નિ પ્રાઇમ મિસાઇલ ટ્રેનમાંથી લોન્ચ થઈને 2000 કિલોમીટર સુધીના લક્ષ્યોને સચોટ ભેદી શકે તેવી ક્ષમતા ધરાવે છે.
રાજનાથ સિંહે જણાવ્યું હતું કે આ મિસાઇલમાં અનેક આધુનિક સુવિધાઓ ઉમેરવામાં આવી છે. આજે કરવામાં આવેલું પરીક્ષણ ખાસ ડિઝાઇન કરાયેલા રેલ આધારિત મોબાઇલ લોન્ચરથી કરવામાં આવ્યું હતું. આ પહેલું એવું લોન્ચર છે, જે કોઈપણ પૂર્વ શરતો વિના ભારતીય રેલ નેટવર્ક પર ચલાવી શકાય તેવું છે.
આ સફળ પરીક્ષણથી ભારતે વિશ્વના થોડાક એવા દેશોમાં સ્થાન મેળવ્યું છે, જેમણે રેલ આધારિત લોન્ચ સિસ્ટમથી મિસાઇલ છોડવાની ક્ષમતા હાંસલ કરી છે. આ સિસ્ટમ ઝડપી પ્રતિસાદ સમય સાથે મિસાઇલ લોન્ચ કરવાની ક્ષમતા પૂરી પાડે છે. સંરક્ષણ મંત્રીએ DRDO, સ્ટ્રેટેજિક ફોર્સ કમાન્ડ (SFC) અને સશસ્ત્ર દળોને આ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા.


Leave a Reply