નવી દિલ્હી: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ 25 સપ્ટેમ્બર 2025ના રોજ મથુરા-વૃંદાવનના વિશેષ પ્રવાસે જશે અને આ પ્રવાસ માટે ભારતીય રેલવેએ દેશની સૌથી ભવ્ય ટ્રેન ‘મહારાજા એક્સપ્રેસ’ને પ્રેસિડેન્ટ સ્પેશિયલ ટ્રેન તરીકે તૈયાર કરી છે.
આ ટ્રેન નવી દિલ્હી સ્થિત સફદરજંગ સ્ટેશનથી સવારે લગભગ 8 વાગ્યે રવાના થશે અને લગભગ 10 વાગ્યે વૃંદાવન રોડ સ્ટેશન પર પહોંચશે. રાષ્ટ્રપતિ અહીં શ્રી બાંકે બિહારી મંદિરે દર્શન કરશે અને મથુરાના શ્રીકૃષ્ણ જન્મસ્થાન મંદિરે પૂજા અર્ચના કરશે.
રેલવે અધિકારીઓ અનુસાર, આ પ્રવાસ માટે 18 કોચની વિશેષ રેક તૈયાર કરવામાં આવી છે, જેમાંથી 12 કોચ મહારાજા એક્સપ્રેસના છે. તેમાં રાષ્ટ્રપતિ સુટ, ડીલક્સ સુટ, રેસ્ટોરન્ટ, લાઉન્જ અને પાવર કાર જેવી સુવિધાઓ સામેલ છે.

રાષ્ટ્રપતિ અને તેમના સ્ટાફ માટે લગ્ઝરી સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. સાથે જ વરિષ્ઠ રેલવે અધિકારીઓ માટે બે સ્ટાન્ડર્ડ એસી કોચ પણ જોડાયા છે. મુસાફરી દરમિયાન સુરક્ષા માટે બે લોકોમોટિવ લગાવવામાં આવ્યા છે, જેમાંથી એક મુખ્ય સંચાલન માટે અને બીજુ સ્ટેન્ડબાય માટે રહેશે.
આ પ્રવાસને સુગમ બનાવવા માટે રેલવેએ વ્યાપક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF), GRP, સ્ટેશન માસ્ટર્સ અને વરિષ્ઠ અધિકારીઓને નિર્ધારિત સ્થળોએ તૈનાત થવા આદેશ આપવામાં આવ્યો છે. સુરક્ષાના કડક પગલાંથી કોઈ અવરોધ વિના આ ઐતિહાસિક પ્રવાસ પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અગાઉ પણ મહારાજા એક્સપ્રેસમાં મુસાફરી કરી ચૂક્યા છે. જૂન 2023માં તેમણે ભુવનેશ્વરથી રાયરંગપુર સુધી આ લગ્ઝરી ટ્રેનમાં પ્રવાસ કર્યો હતો. આ વખતની યાત્રા પણ દેશ માટે એક વિશેષ અવસર હશે, કારણ કે પ્રથમ નાગરિક મથુરા-વૃંદાવનમાં દેશની સૌથી ભવ્ય ટ્રેન દ્વારા દર્શન કરશે.

Leave a Reply