Asia Cup 2025 Trophy Controversy : ટીમ ઈન્ડિયાએ શાનદાર રીતે એશિયા કપની ફાઇનલમાં પાકિસ્તાને હરાવતા ઈતિહાસ રચી દીધો. જોકે આ ખુશી વધારે ન ટકી કેમ કે ટ્રોફીને લઇને મોટો વિવાદ થઇ ગયો. ટીમ ઈન્ડિયાને ટ્રોફી મળી જ નહીં કેમ કે એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) ના અધ્યક્ષ પાકિસ્તાની મોહમ્મદ નકવી છે અને ટીમ ઈન્ડિયા તેમના હસ્તે ટ્રોફી સ્વીકારવા નહોતી માગતી. જેને લઈને લગભગ બે કલાક સુધી ડ્રામા ચાલ્યો અને પછી નકવી ટ્રોફી અને વિજેતા ટીમના મેડલ્સ લઇને હોટેલ નીકળી ગયાની માહિતી મળી.
સૂર્યકુમારે શું કહ્યું?
હવે આ મામલે ચેમ્પિયન ટીમ ઈન્ડિયાના કેપ્ટન સૂર્યકુમાર યાદવે જોરદાર પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, ‘મને ટ્રોફીની ચિંતા નથી. મારા માટે ટીમના 14 સાથીઓ જ સૌથી મોટી ટ્રોફી છે. મારા મતે હું જ્યારથી ક્રિકેટ રમું છું મેં એવું ક્યારેય નથી જોયું કે કોઈ વિજેતા ટીમને ટ્રોફી એનાયત ન કરાઈ હોય અને તેને વંચિત કરી દેવામાં આવી. મારો મતલબ એ છે કે અમે ઘણી મહેનત કરી હતી. અમે ટ્રોફી સરળતાથી નહોતા જીત્યા.’
હસતા મોઢે ભાવનાઓ છુપાવી સૂર્યાએ?
ભારતીય કેપ્ટને હસતા મોઢે કહ્યું કે, ‘અમે 4 સપ્ટેમ્બરથી અહીં દુબઈમાં છીએ. અમે આજે શાનદાર રમ્યા. સતત બે દિવસમાં બે મેચમાં જોરદાર પરફોર્મ કર્યું. મને લાગે છે કે અમે ટ્રોફીના હકદાર હતા. બસ હું વધારે નથી કહેવા માગતો. મને લાગે છે કે મેં સારી રીતે મારી ભાવના વ્યક્ત કરી દીધી છે. જો તમે મને ટ્રોફી વિશે પૂછશો તો હું એટલું જ કહીશ કે મારી ટ્રોફી તો મારા ડ્રેસિંગ રૂમમાં છે. મારા તમામ 14 સાથી ખેલાડી, સંપૂર્ણ સ્ટાફ જ મારી અસલ ટ્રોફી છે.’
આ પણ વાંચો: ‘અસલ ટ્રોફી તો મારી ટીમ છે, મેં એવું ક્યારેય નથી જોયું…’ ટ્રોફી ન મળતાં સૂર્યકુમારના પ્રહાર
સલમાન અલી આગાએ કર્યું રિએક્ટ
પાકિસ્તાનના કેપ્ટન સલમાન અલી આગાએ આ મામલે હાર બાદ કહ્યું કે, ‘ભારતે જે અમારું સાથે કર્યું તે અયોગ્ય હતું. તેણે મોહમ્મદ નકવીના હાથે ટ્રોફી ન સ્વીકારી અમારું નહીં પણ ક્રિકેટનું જ અપમાન કર્યું છે. જો અન્ય ટીમો પણ આવું કરશે તો આ ક્યાં જઇને અટકશે? મોહમ્મદ નકવી એસીસીના ચેરમેન છે, જો તમે એમના હસ્તે ટ્રોફી નથી લેવા માગતા તો પછી કોણ આપશે તમને ટ્રોફી? ક્રિકેટર રોલ મોડેલ હોય છે, બાળકો આવું વર્તન જોઇને શું શીખશે. આ ટુર્નામેન્ટમાં જે કંઇ થયું તે અયોગ્ય હતું.’ હેન્ડશેક વિવાદ પર સવાલ ઊઠતાં તેમણે કહ્યું કે આ વિવાદ અંગે તો તમારે ભારતીય ટીમને જ સવાલ કરવા જોઈએ.


Leave a Reply