દ.આફ્રિકા સામે કારમા પરાજય બાદ ગંભીર પર ભડક્યા ગાંગુલી,… અગાઉ કોહલી-ધોની જેવા દિગ્ગજોને પણ આડે હાથ લીધા હતા
Updated: Nov 17th, 2025
GS TEAM

Sourav Ganguly angry at Gautam Gambhir: દક્ષિણ આફ્રિકા સામે પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતને 30 રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતની આ શરમજનક હાર પર સૌરવ ગાંગુલી નિરાશ છે. તેમણે આ હાર બાદ ટીમ ઈન્ડિયાના કોચ ગૌતમ ગંભીરની રણનીતિ પર નિરાશા વ્યક્ત અને તેમના પર ભડક્યા છે. આ પહેલી વાર નથી જ્યારે ગાંગુલીએ કોઈ ખેલાડી કે કોચ અંગે પોતાનું નિવેદન આપ્યુ છે. આ પહેલા પણ ગાંગુલી કેટલાક દિગ્ગજ ખેલાડીઓને આડે હાથ લઈ ચૂક્યા છે.
જ્યારે ગાંગુલી અને કોહલી થયા આમને-સામને
જ્યારે વિરાટ કોહલીએ ટેસ્ટ મેચની કેપ્ટનશીપ પરથી રાજીનામું આપી દીધું હતું ત્યારે ગાંગુલીએ તેમના વિશે એક મોટું નિવેદન આપ્યું હતું. ગાંગુલીએ ખુલાસો કર્યો કે BCCI 2022માં કોહલીના ટેસ્ટ કેપ્ટન પદેથી અચાનક રાજીનામું આપવા માટે તૈયાર નહોતું, કારણ કે તેણે વ્હાઈટ-બોલ કેપ્ટનશીપથી પોતાના મનથી રાજીનામું આપી દીધું હતું. કોહલીના રાજીનામાના થોડા દિવસો બાદ ગાંગુલીએ કહ્યું હતું કે, BCCI એ તેમને તેમના નિર્ણય પર પુનર્વિચાર કરવા કહ્યું હતું પરંતુ કોહલીએ ઈનકાર કરી દીધો હતો. તમને જણાવી દઈએ કે, કોહલીએ કહ્યું હતું કે, મને કેપ્ટનશીપ વિશે કોઈએ વાત નહોતી કરી. ગાંગુલીએ કોહલીના આ નિવેદનની ટીકા કરી હતી.
શ્રેયસ અય્યરને ટીમમાં સિલેક્ટ ન કરવા બદલ સિલેક્ટર્સ પર ભડક્યા હતા
ઈંગ્લેન્ડ પ્રવાસ માટે જ્યારે શ્રેયસ અય્યરને ટીમમાં સ્થાન મળ્યું ત્યારે ગાંગુલીએ ભારતીય સિલેક્ટર્સને ફટકાર લગાવી હતી. ગાંગુલીએ એ ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ‘શ્રેયસ અય્યર છેલ્લા એક વર્ષથી પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહ્યો છે અને તેને આ ટીમમાં હોવું જોઈએ. તેને ટીમમાં સ્થાન ન મળવું એ ચોંકાવનારું છે. છેલ્લું એક વર્ષ તેના માટે શાનદાર રહ્યું છે, તે એવો ખેલાડી નથી જેને ટીમમાંથી બહાર રાખવામાં આવે. તે હવે દબાણમાં રન બનાવી રહ્યો છે, જવાબદારી લઈ રહ્યો છે અને શોર્ટ બોલ સારી રીતે રમી રહ્યો છે. જો સિલેક્શન મારા હાથમાં હોત તો હું ચોક્કસપણે તેને આ સીરિઝમાં સામેલ કરત, જેથી જોઈ શકું કે, તે શું કરી શકે છે.’
મોહમ્મદ શમીની અવગણના પર અજિત અગરકર પર ભડક્યા હતા ગાંગુલી
પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલી ઈચ્છે છે કે, મોહમ્મદ શમી તમામ ફોર્મેટમાં ભારતીય ટીમમાં વાપસી કરે, કારણ કે તેમનું માનવું છે કે આ કુશળ ફાસ્ટ બોલર ફિટ છે અને શાનદાર બોલિંગ કરી રહ્યો છે. જોકે, અજિત અગરકરની આગેવાની હેઠળની પસંદગી સમિતિએ 35 વર્ષીય બોલરને અવગણ્યો છે, જે અંગે ગાંગુલીએ પોતાની અસંમતિ વ્યક્ત કરી હતી. ગાંગુલીએ સ્પષ્ટ કહ્યું હતું કે, ‘શમીને ટીમમાં સ્થાન આપવાનું મને કોઈ કારણ દેખાઈ નથી રહ્યું. મને ખાતરી છે કે પસંદગીકારો જોઈ રહ્યા છે, અને તેની અને મોહમ્મદ શમી વચ્ચે ચર્ચા ચાલી રહી છે. પરંતુ જો તમે મને પૂછો તો ફિટનેસ અને કૌશલ્યની દ્રષ્ટિએ આ એ જ મોહમ્મદ શમી છે જેને આપણે જાણીએ છીએ. તેથી મને કોઈ કારણ દેખાતું નથી કે તે ભારત માટે ટેસ્ટ મેચ, વન-ડે અને T20 ક્રિકેટ કેમ ન રમી શકે, કારણ કે તેની પાસે ઘણી ક્ષમતા છે.’
ધોનીની ધીમી બેટિંગ પર પણ ગાંગુલીએ ગુસ્સો વ્યક્ત કર્યો હતો
2019માં ધોનીની બેટિંગને લઈને પણ સૌરવ ગાંગુલીએ નિરાશા વ્યક્ત કરી હતી. ઈંગ્લેન્ડ સામેની મેચ દરમિયાન કોમેન્ટ્રી કરી રહેલા પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીએ ધોનીની બેટિંગ શૈલી પર સવાલ ઉઠાવ્યા હતા. ગાંગુલીએ કહ્યું હતું કે, ‘મારી પાસે આનું કોઈ સ્પષ્ટીકરણ નથી. હું આ સિંગલ્સને સમજી નથી શકતો. આ માનસિકતા અને રમત પ્રત્યેના તમારા દ્રષ્ટિકોણનો મામલો છે. સંદેશ સ્પષ્ટ હોવો જોઈએ, બોલ ભલે ગમે ત્યાંથી આવે અને ગમે ત્યાં પડે, તમારે બાઉન્ડ્રી લગાવવી જ પડશે.’
વાસ્તવમાં 2019ના વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડ સામેની હાર દરમિયાન ધોની પોતાની ધીમી ઈનિંગના કારણે ગાંગુલીની ટિકાનો શિકાર બન્યો હતો. ઈંગ્લેન્ડ દ્વારા આપવામાં આવેલા 338 રનના ટારગેટનો પીછો કરતા ભારત 50 ઓવરમાં 306/5 રન જ બનાવી શક્યું હતું, જેમાં ધોની 42 (31 બોલ) અને કેદાર જાધવ 12 (13 બોલ) પર અણનમ રહ્યા હતા. આ બંને ખેલાડીઓએ અંતિમ ઓવરોમાં પણ આક્રમકતા નહોતી દેખાડી, જેના કારણે ભારતે હારનો સામનો કરવો પડ્યો હતો.
આ પણ વાંચો: પૂજારાની પણ ધીરજ ખૂટી, કોલકાતા ટેસ્ટમાં હાર અંગે કહ્યું- કંઈક તો ગરબડ છે…
ભારતને છેલ્લી પાંચ ઓવરમાં 71 રનની જરૂર હતી. બધાની નજર ધોની પર હતી પરંતુ માહી ટીમને જીત નહોતો અપાવી શક્યો. તે ટીમ માટે જીત હંસલ નહોતો કરી શક્યો. ધોનીએ પોતાની ઈનિંગમાં ચાર ચોગ્ગા ફટકાર્યા અને પછી છેલ્લેથી બીજી ઓવરમાં એકમાત્ર છગ્ગો ફટકાર્યો હતો. પરંતુ જ્યારે રન રેટ 15 પર પહોંચી ગયો, ત્યારે ધોનીએ મોટા શોટને બદલે સિંગલ્સ અને ડબલ્સનો વિકલ્પ પસંદ કર્યો, જેના કારણે ભારતને 31 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.

Leave a Reply