T20 વર્લ્ડ કપ પર સંકટ: ICCના અલ્ટિમેટમ છતાં બાંગ્લાદેશ ટસનું મસ ન થયું, જુઓ શું કહ્યું..

Home » Latest Update » T20 વર્લ્ડ કપ પર સંકટ: ICCના અલ્ટિમેટમ છતાં બાંગ્લાદેશ ટસનું મસ ન થયું, જુઓ શું કહ્યું..
t20-વર્લ્ડ-કપ-પર-સંકટ:-iccના-અલ્ટિમેટમ-છતાં-બાંગ્લાદેશ-ટસનું-મસ-ન-થયું,-જુઓ-શું-કહ્યું.

Updated: Jan 22nd, 2026

GS TEAM

Google News

Google News

T20 વર્લ્ડ કપ પર સંકટ: ICCના અલ્ટિમેટમ છતાં બાંગ્લાદેશ ટસનું મસ ન થયું, જુઓ શું કહ્યું.. 1 - image

BCB Chief defiant after ICC ultimatum: T20 વર્લ્ડ કપ 2026ને લઈને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) અને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) વચ્ચેનો વિવાદ ચરમસીમાએ પહોંચી ગયો છે. ICC દ્વારા કડક અલ્ટિમેટમ મળ્યા છતાં, BCBના અધ્યક્ષ અમીનુલ ઈસ્લામ બુલબુલે સ્પષ્ટ કર્યું છે કે તેઓ ભારતમાં રમવાના પોતાના વિરોધ પર અડગ છે. તેમણે ભારતને ‘અસુરક્ષિત’ ગણાવ્યું છે અને હજુ પણ કોઈ ‘ચમત્કાર’ની આશા રાખી રહ્યા છે.

ICCના અલ્ટિમેટમ બાદ પણ વલણ યથાવત

ICC તરફથી સત્તાવાર સંદેશ મળ્યા બાદ, BCB અધ્યક્ષ અમીનુલ ઈસ્લામ બુલબુલે બાંગ્લાદેશના રમતગમત સલાહકાર આસિફ નઝરુલ સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં નક્કી થયું કે ખેલાડીઓનો મત જાણવા માટે તેમની સાથે એક બેઠક યોજવામાં આવશે. જોકે, જ્યારે બુલબુલને પૂછવામાં આવ્યું કે જો ખેલાડીઓ ભારતમાં રમવા માટે સંમત થશે તો શું BCB પોતાનું વલણ બદલશે? તેના જવાબમાં તેમણે સ્પષ્ટ કહ્યું કે બાંગ્લાદેશની સત્તાવાર સ્થિતિ હજુ પણ એ જ છે અને તેઓ શ્રીલંકામાં જ મેચ રમવા માંગે છે.

‘ચમત્કારની આશા, ભારત અમારા માટે સુરક્ષિત નથી’

રમતગમત સલાહકાર સાથેની બેઠક બાદ બાંગ્લાદેશી મીડિયા સાથેની વાતચીતમાં બુલબુલે કહ્યું કે, ‘હું ICC પાસેથી એક ચમત્કારની અપેક્ષા રાખી રહ્યો છું. કોણ વર્લ્ડ કપ નથી રમવા માંગતું? પણ હું સરકાર પર કોઈ દબાણ કરવા માંગતો નથી. અમે જાણીએ છીએ કે ભારત અમારા માટે સુરક્ષિત નથી. તેથી અમે શ્રીલંકામાં રમવા માંગીએ છીએ. મારી સ્થિતિ હજુ પણ એ જ છે. ICCએ સરકાર સાથે વાત કરવા અમને 24થી 48 કલાકનો સમય આપ્યો છે. આમ છતાં, અમે સરકાર પર દબાણ કરવાના પક્ષમાં નથી.’

ICCની વોટિંગ પ્રક્રિયા પર પણ ઉઠાવ્યા સવાલ

BCB અધ્યક્ષે ICCની વોટિંગ પ્રક્રિયા પર પણ સવાલો ઉઠાવ્યા. બુલબુલે કહ્યું કે, ‘વોટિંગ શરૂ થતાં પહેલાં અમે ICC બોર્ડને અમારા નિર્ણય પાછળના કારણો સમજાવ્યા હતા. અમે નહોતા ઈચ્છતા કે આ મુદ્દે વોટિંગ થાય. અમે ICCને કહ્યું હતું કે અમારી મેચો શ્રીલંકા શિફ્ટ કરી દેવામાં આવે.’

આ દરમિયાન તેમણે એ પણ ખુલાસો કર્યો કે ‘BCBએ આયર્લેન્ડ અથવા ઝિમ્બાબ્વે સાથે ગ્રૂપ સ્વેપ કરવાનો વૈકલ્પિક પ્રસ્તાવ પણ મૂક્યો હતો, પરંતુ શ્રીલંકાએ પોતાના ગ્રૂપમાં કોઈ નવી ટીમને સામેલ કરવાનો ઇનકાર કરી દીધો હતો.’

હવે સૌની નજર ખેલાડીઓની બેઠક અને બાંગ્લાદેશ સરકારના અંતિમ નિર્ણય પર ટકેલી છે. પરંતુ હાલ તો BCB પોતાના નિર્ણય પર અડગ છે અને ICC પાસેથી કોઈ ‘ચમત્કાર’ની આશા રાખી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published.