Updated: Jan 29th, 2026
GS TEAM

Ajinkya Rahane On Pakistan: T20 વર્લ્ડ કપના બહિષ્કારની ગીધડ ધમકી આપી રહેલા પાકિસ્તાનને અજિંક્ય રહાણેએ તતડાવ્યું છે. રહાણેએ કહ્યું કે, ‘પાકિસ્તાનમાં આવું કરવાની હિમ્મત જ નથી. વર્લ્ડ કપ જેવી મોટી ટુર્નામેન્ટનો બહિષ્કાર કરવું સરળ નથી. મને નથી લાગતું કે, તે (પાકિસ્તાન) આવું કરી શકશે. તેમનામાં એટલી હિમ્મત જ નથી.’
T20 વર્લ્ડ કપ 7 ફેબ્રુઆરીથી શરુ થવા જઈ રહ્યો છે. ભારત અને શ્રીલંકા સંયુક્ત રીતે તેનું આયોજન કરી રહ્યા છે, પરંતુ પાકિસ્તાન તેમાં ભાગ લેશે કે નહીં તે હજુ સુધી સ્પષ્ટ નથી. એવા રિપોર્ટ પણ સામે આવ્યા છે કે, જો પાકિસ્તાન વર્લ્ડ કપમાં ભાગ લેશે, તો તેના ખેલાડીઓ બાંગ્લાદેશ અંગે ICCના નિર્ણયનો વિરોધ કરવા માટે કાળી પટ્ટી બાંધીને મેદાનમાં ઉતરશે.
T20 વર્લ્ડ કપમાંથી બાંગ્લાદેશનું પત્તું કપાયા બાદથી જ પાકિસ્તાન બોખલાઈ ગયું છે અને તેના સમર્થનમાં વર્લ્ડ કપનો બહિષ્કાર કરવાની ગીધડ ધમકી આપી રહ્યું છે. બાંગ્લાદેશ ભારતમાં તેની વર્લ્ડ કપ મેચો ન રમવા પર અડગ હતું અને પોતાની મેચો શ્રીલંકામાં શિફ્ટ કરવાની માગ કરી રહ્યું હતું. ICCએ તેમની આ માગ ફગાવી દીધો તો તેણે વર્લ્ડ કપમાં રમવાનો ઇન્કાર કરી દીધો છે. હવે ICCએ બાંગ્લાદેશના સ્થાને સ્કોટલૅન્ડને T20 વર્લ્ડ કપમાં સામેલ કર્યું છે.
T20 વર્લ્ડ કપમાંથી બાંગ્લાદેશનું પત્તું કેમ કપાયું?
IPL ફ્રેન્ચાઇઝી KKR દ્વારા બાંગ્લાદેશી ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાનને ટીમમાંથી રિલીઝ કરી દેવાયા બાદ બાંગ્લાદેશે વર્લ્ડ કપ માટે નખરા ચાલુ કર્યા હતા. બાંગ્લાદેશની ટીમે એક પણ મેચ રમ્યા વિના વર્લ્ડ કપમાંથી બહાર થઈને તેના આ નખરાની કિંમત ચૂકવવી પડી છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે પોતાના ખેલાડીઓ, સપોર્ટ સ્ટાફ, ચાહકો અને પત્રકારોને ભારતમાં ખતરો બતાવ્યો હતો, પરંતુ ICCએ આ વાતને પાયાવિહોણી ગણાવી હતી.
બાંગ્લાદેશ મુદ્દે ICCના તમામ બોર્ડ મેમ્બર્સની મીટિંગ થઈ હતી અને વોટિંગ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો. માત્ર પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે જ BCBના વલણની તરફેણમાં વોટિંગ કર્યું હતું, જ્યારે અન્ય તમામ બોર્ડ મેમ્બર્સે તેની વિરુદ્ધ વોટિંગ કર્યું હતું.
પાકિસ્તાનના વર્લ્ડ કપ રમવા પર સસ્પેન્સ યથાવત્
બાંગ્લાદેશને વર્લ્ડ કપમાંથી બહાર કરવા પર પાકિસ્તાની મીડિયામાં એવી અટકળો શરુ થઈ છે કે, પાકિસ્તાન પણ T20 વર્લ્ડ કપમાં ભાગ લેવાથી પીછે હટ કરી શકે છે. જો તે સમગ્ર ટુર્નામેન્ટનો બહિષ્કાર ન પણ કરે તો, 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં ભારત સામેની મેચનો બહિષ્કાર કરી શકે છે. PCBએ આ મામલે હજુ સુધી અંતિમ નિર્ણય નથી લીધો અને આ મુદ્દા પર તેણે પાકિસ્તાન સરકાર સાથે ચર્ચા કરી છે.
આ પણ વાંચો: સંસદમાં આર્થિક સર્વે રજૂ: AI અને સોના-ચાંદીનો ઉલ્લેખ, GDP 6.8થી 7.2 ટકા રહેવાનું અનુમાન
આ અઠવાડિયે સોમવારે PCB અધ્યક્ષ મોહસીન નકવીએ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ સાથે મુલાકાત કરી હતી. બેઠક બાદ તેમણે જણાવ્યું હતું કે, પાકિસ્તાન શુક્રવાર અથવા આવતા સોમવારે T20 વર્લ્ડ કપ અંગે પોતાનો અંતિમ નિર્ણય જણાવશે.

Leave a Reply