‘મારો છોકરો ડૂબી ગયો…’, પુત્રની માનતા પૂરી કરવા જતાં ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં પરિવાર ગુમાવ્યો

  • સોનલબેન પઢિયારએ પતિ અને બે સંતાનો ગુમાવ્યા, નદીમાં માતાનો આક્રંદ જોઈ લોકોના દિલ વીંધાઈ ગયા

વડોદરા જિલ્લામાં પાદરા-જંબુસર વચ્ચે આવેલો ગંભીરા નદી બ્રિજ 9 જુલાઈ સવારે તૂટી પડતાં ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં સાતથી વધુ વાહનો નદીમાં ખાબક્યા હતા અને અત્યાર સુધીમાં 13 લોકોના મોત થયાનું સામે આવ્યું છે, જ્યારે 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ ગંભીર દુર્ઘટનામાં અનેક પરિવારજનોએ પોતાના સભ્યો ગુમાવ્યા છે. ખાસ કરીને વડોદરાના દરિયાપુર ગામના પઢિયાર પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.

પુત્રની માનતા માટે બગદાણા જઈ રહેલા પરિવારનો માળો તૂટી પડ્યો

પ્રાપ્ત વિગતો અનુસાર, દરિયાપુરના સોનલબેન પઢિયાર, તેમના પતિ રમેશ પઢિયાર, પુત્રી વૈદિકા અને પુત્ર નૈતિક સાથે બગદાણા ખાતે પુત્ર માટે માનતા પુરી કરવા જઇ રહ્યા હતા. પરંતુ રસ્તામાં આ દુર્ઘટનાગ્રસ્ત બ્રિજ તૂટી પડતાં તેમનો સમગ્ર પરિવાર નદીમાં ફસાઈ ગયો.

દુર્ઘટનાને પગલે સોનલબેને પોતાના પતિ અને બંને સંતાનો ગુમાવ્યા છે. ઘટના બાદનો એક હ્રદયવિદારક દ્રશ્યનો વીડિયો પણ વાયરલ થયો છે, જેમાં સોનલબેન નદીના કિનારે “મારો છોકરો ડૂબી ગયો…” કહી વિલાપ કરતાં જોવા મળ્યા હતા. આ દ્રશ્ય જોઈ અનેક લોકોની આંખે આંસુ આવી ગયા હતા.

દરિયાપુર ગામમાં શોકનો માહોલ, સરકાર સામે ગુસ્સો

આ એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત થતાં સમગ્ર દરિયાપુર ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. ગામલોકોએ તંત્રની બેદરકારી સામે કડક પ્રતિક્રિયા આપી છે. વર્ષો જૂના બ્રિજની યોગ્ય જાળવણી ન થવાને કારણે સર્જાયેલી આ દુર્ઘટના અંગે સ્થાનિકો સરકાર સામે ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે.

દુઃખદ ઘટના, પણ જવાબદારી કોણે સ્વીકારવી?

એક માતાની સામે જ પુત્ર-પતિ અને પુત્રીને ગુમાવવાનો આકસ્મિક આઘાત તેની જીંદગીભર સાથ નહીં છોડે. આવી દુર્ઘટનાઓ ફરી ન બને તે માટે સરકાર અને તંત્ર કઈ સાવચેતીઓ અપનાવશે એ હવે મુખ્ય પ્રશ્ન બની રહ્યો છે.

 

Leave a Reply

Your email address will not be published.