ચીનના ટિયાનજિનમાં શાંઘાઈ સહયોગ સંગઠન (SCO) શિખર સંમેલન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ. બેઠક દરમિયાન બંને નેતાઓએ પોતાના ઐતિહાસિક સંબંધોનો ઉલ્લેખ કર્યો અને સહકાર વધારવાની ઈચ્છા વ્યક્ત કરી.
પુતિને જણાવ્યું કે, ભારત અને રશિયા વચ્ચેનો સંબંધ રાજકીય નહીં, પરંતુ વિશ્વાસ પર આધારિત છે. આ અનોખા સંબંધ દ્વારા બંને દેશોએ વૈશ્વિક સ્તરે સ્પષ્ટ સંદેશ આપ્યો કે, કોઈ પણ દબાણ હેઠળ ભારત ક્યારેય પોતાના મજબૂત અને ઐતિહાસિક સંબંધોને તોડશે નહીં.
વડાપ્રધાન મોદીએ પુતિનના નિવેદનનું સમર્થન કરતા કહ્યું કે, ભારત-રશિયાના સંબંધો ખરાબ સમયમાં પણ મજબૂત રહ્યા છે. તેમણે પુતિનને ડિસેમ્બરમાં ભારતની યાત્રા માટે આવકાર આપ્યો અને જણાવ્યું કે, 140 કરોડ ભારતીયો તેમની રાહ જોઈ રહ્યા છે.
સાંકેતિક રીતે, બંને નેતાઓએ યુક્રેન સંઘર્ષ અને શાંતિ પ્રયાસો પર ચર્ચા કરી, જેમાં વડાપ્રધાન મોદીએ ભારત શાંતિ માટે તમામ પગલાં સાથે છે તે સ્પષ્ટ કર્યું. બેઠક દરમિયાન અનૌપચારિક વાતચીત અને સ્મિતના પળો બંને દેશો વચ્ચેના ગાઢ સંબંધોની સાબિતી રહ્યા. ઉલ્લેખનીય છે કે, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં ભારત પર 50 ટકા ટેરિફ લાગુ કર્યો હતો, જે રશિયા પાસેથી મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઇલ ખરીદવા અને તેનો યુક્રેન યુદ્ધમાં ઉપયોગ અંગેનો મુદ્દો છે.

Leave a Reply