વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં ગંભીરા બ્રિજ તૂટી પડવાની દુર્ઘટના બાદ તાત્કાલિક પગલાં હેઠળ તૂટેલા બ્રિજની બાજુમાં નવો બ્રિજ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નવો બ્રિજ એક વર્ષમાં તૈયાર કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.
શું હતી ઘટના?
9 જુલાઈએ ગંભીરા બ્રિજ પર વાહનોની અવરજવર ચાલી રહી હતી ત્યારે બ્રિજનો એક સ્પાન તૂટી પડતાં બ્રિજના બે કટકા થઈ ગયા હતા. આ ઘટનામાં અનેક વાહનો મહીસાગર નદીમાં ખાબક્યા હતા અને કેટલાક બ્રિજ પર લટકાઈ ગયા હતા. દુર્ભાગ્યે આ દુર્ઘટનામાં 21 લોકોના મોત થયા હતા.
નવા બ્રિજ માટેની કામગીરી શરૂ
ગંભીરા બ્રિજ વડોદરા અને આણંદ જિલ્લાઓને જોડતો મહત્વનો કડી હતો. બ્રિજ તૂટી પડતા બંને જિલ્લાના લોકોની અવરજવર પર મોટો પ્રભાવ પડ્યો હતો. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને તાત્કાલિક નવો બ્રિજ બનાવવાની કાર્યવાહી શરૂ કરાઈ હતી. જિલ્લા માર્ગ અને મકાન વિભાગ દ્વારા ટેન્ડર પ્રોસેસ પૂર્ણ કરી મંગલમ કન્સ્ટ્રક્શન કંપનીને નવો બ્રિજ બનાવવાનું કામ સોંપવામાં આવ્યું છે.
166 કરોડનું ટેન્ડર, 2026 સુધી પૂર્ણ થવાનું લક્ષ્ય
નવા બ્રિજના નિર્માણ માટે મંગલમ કન્સ્ટ્રક્શન કંપનીએ ₹166 કરોડનું ટેન્ડર ભર્યું હતું, જેને મંજૂરી મળતાં જ 14 ઑગસ્ટે વર્ક ઓર્ડર આપવામાં આવ્યો છે. હાલ કેમ્પ સાઇટ ડેવલપમેન્ટનું કામ શરૂ થઈ ગયું છે, મશીનરી ગોઠવાઈ રહી છે અને ફાઉન્ડેશન માટે તૈયારી થઈ રહી છે. વર્ક ઓર્ડર અનુસાર બ્રિજનું કામ 13 સપ્ટેમ્બર 2026 સુધી પૂર્ણ થવાનું લક્ષ્ય છે.

Leave a Reply