કેન્દ્ર સરકારે ઇસ્લામિક દેશોમાં ધાર્મિક અત્યાચારનો સામનો કરીને ભારતમાં આશ્રય લેનારા લઘુમતી સમુદાયો માટે મોટી રાહતની જાહેરાત કરી છે. ગૃહ મંત્રાલયે નવા ઈમિગ્રેશન એન્ડ ફોરેનર્સ ઍક્ટ, 2025 અંતર્ગત જણાવ્યું છે કે અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાંથી આવેલા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી સમાજના લોકો, જેઓ 31 ડિસેમ્બર 2024 પહેલાં ભારતમાં પ્રવેશ્યા છે, તેઓને હવે કોઈપણ પાસપોર્ટ કે ટ્રાવેલ ડૉક્યુમેન્ટ વિના દેશમાં રહેવાની મંજૂરી આપવામાં આવશે.
જો કે, આ નવી જોગવાઈ માત્ર રહેવા માટે છે, નાગરિકત્વ માટે નહીં. અગાઉ લાગુ કરાયેલા સિટિઝનશીપ એમેન્ડમેન્ટ ઍક્ટ (CAA) હેઠળ 31 ડિસેમ્બર 2014 પહેલાં આવેલા લોકોને ભારતીય નાગરિકત્વ આપવાની જોગવાઈ હતી, જ્યારે નવો કાયદો માત્ર 2024 સુધીમાં આવેલા લોકોને રહેવા માટે માન્યતા આપે છે. આ નિર્ણયથી ખાસ કરીને પાકિસ્તાનમાંથી આવેલા હિન્દુ સમાજને મોટી રાહત મળશે.
મંત્રાલયે જણાવ્યું છે કે નેપાળ અને ભૂતાનના નાગરિકોને પણ પહેલાની જેમ પાસપોર્ટ કે વિઝાની જરૂર નહીં પડે. તે જ રીતે, ભારતીય નૌસેના, મિલિટરી કે એરફોર્સમાં ફરજ બજાવતા સૈનિકો અને તેમના પરિવારજનો સરકારી વાહનમાં આવતા હોય તો તેમને પણ પાસપોર્ટ રાખવાની જરૂર નથી. જોકે, ચીન, મકાઉ, હોંગકોંગ અને પાકિસ્તાનના નાગરિકો માટે આ છૂટછાટ લાગુ નહીં થાય.

Leave a Reply