ભારતના વસ્તુ અને સેવા કર (GST) માળખામાં ઐતિહાસિક ફેરફાર કરવામાં આવ્યો છે. 3 સપ્ટેમ્બરે યોજાયેલી GST કાઉન્સિલની 56મી બેઠકમાં, નાણા મંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં મોટો નિર્ણય લેવાયો છે. હવે દેશમાં માત્ર બે જ મુખ્ય ટેક્સ સ્લેબ — 5 ટકા અને 18 ટકા રહેશે.
જૂના સ્લેબ્સ રદ, નવું માળખું અમલમાં
અત્યાર સુધીમાં 5%, 12%, 18% અને 28% એમ ચાર GST સ્લેબ લાગુ હતા. કાઉન્સિલે 12% અને 28%ના સ્લેબ રદ કરવાનો નિર્ણય લીધો છે. હવે જે પ્રોડક્ટ્સ પર 12% લાગુ પડતો હતો, તે પર 5% લાગશે, જ્યારે જે સામાન પર 28% ટેક્સ લાગતો હતો તેને 18% પર લાવવામાં આવશે. આ બદલાવને કારણે અનેક ઉત્પાદનો ગ્રાહકો માટે સસ્તા થઈ જશે.
લક્ઝરી અને હાનિકારક વસ્તુઓ પર 40% GST
કાઉન્સિલે ખાસ જાહેરાત કરી છે કે લક્ઝરી વસ્તુઓ અને હાનિકારક ઉત્પાદનો (જેમ કે તમાકુ, શરાબ, મોંઘી કાર, સોફ્ટ ડ્રિંક્સ વગેરે) પર 40% GST લાગુ રહેશે. આ વધારાના આવક સ્રોતથી સરકારને સામાન્ય વસ્તુઓ પર કર ઘટાડાથી થનારી ખોટનો ભાગ પુરો થવાની અપેક્ષા છે.
ક્યારે લાગુ થશે?
રિપોર્ટ્સ મુજબ, કાઉન્સિલના આ તમામ નિર્ણયો 22 સપ્ટેમ્બર 2025થી અમલમાં આવશે.
આર્થિક અસર
નવી કર માળખાને કારણે સરકારને અંદાજે ₹93,000 કરોડ રૂપિયાની આવકમાં ખોટ થવાની શક્યતા છે. જોકે, લક્ઝરી અને હાનિકારક વસ્તુઓ પર 40% નો ટેક્સ લાગુ થવાથી અંદાજે ₹45,000 કરોડની વધારાની આવક થઈ શકે છે. તેમ છતાં, રાજ્યોને થનારી ખોટ માટે કોઈ સ્પષ્ટ વળતર યોજનાની જાહેરાત હાલ કરવામાં આવી નથી.
પંજાબના નાણા પ્રધાન હરપાલ સિંહ ચીમાએ જણાવ્યું કે રાજ્યોને આવકનું નુકસાન થશે, પરંતુ આ નિર્ણય જનહિતમાં લેવાયો છે અને તેનો સીધો લાભ સામાન્ય લોકો સુધી પહોંચશે. હિમાચલ પ્રદેશના મંત્રી રાજેશ ધર્માણીએ પણ બેઠક બાદ કહ્યું કે, દરેક સભ્ય નવા GST દરોને વધુ ન્યાયસંગત બનાવવામાં સહમત થયો હતો.
ગ્રાહકો માટે રાહત
નવી GST વ્યવસ્થા લાગુ થતા મેડિકલ સપ્લાય, રોજિંદી વપરાશના સામાન, શિક્ષણ સંબંધિત વસ્તુઓ, કોસ્મેટિક્સ, ઇલેક્ટ્રોનિક્સ અને કેટલાક વાહનો સહિત અનેક વસ્તુઓ સસ્તી થઈ જશે. ખાસ કરીને મધ્યમ વર્ગ અને સામાન્ય ગ્રાહકોને આ સુધારા સીધો લાભ આપશે.

Leave a Reply