નવી દિલ્હી: ઉત્તર ભારતમાં ચોમાસાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં અનેક રાજ્યોમાં હાહાકાર મચ્યો છે. દિલ્હીમાં સતત ત્રીજા દિવસે ભારે વરસાદ પડતા યમુના નદીએ 1963 પછી પાંચમી વખત ભયજનક સપાટી વટાવી છે. રાજધાનીના અનેક વિસ્તારોમાં પૂરના પાણી ઘૂસ્યા છે. લોકો માટે બનાવાયેલા રાહત કેમ્પોમાં પણ પાણી ભરાઈ જતાં લોકોને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
કેન્દ્રીય જળ આયોગ (CWC)એ બુધવારે નવી એડવાઈઝરી જારી કરી હતી, જેમાં જણાવાયું હતું કે યમુનાનું જળસ્તર 207.40 મીટર સુધી પહોંચી શકે છે, જે ખતરાની સપાટીથી ઉપર છે. છેલ્લે 2023માં યમુનાનું સ્તર 208.66 મીટર સુધી પહોંચ્યું હતું. પૂરના પાણી દિલ્હીના સૌથી જૂના સ્મશાન મેદાન નિગમબોધ ઘાટ સુધી ઘૂસી ગયા હતા.
પૂરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસે ટ્રાફિક એલર્ટ જાહેર કર્યું છે અને અનેક વિસ્તારોમાં વાહન વ્યવહાર ડાયવર્ઝન કરાયો છે. હવામાન વિભાગે આગામી બે દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યો છે. બીજી બાજુ, પંજાબમાં પણ ભારે વરસાદને કારણે 1998ના વિનાશક પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. સિંધુ જળ સિસ્ટમની નદીઓ ખતરાની સપાટી વટાવી જતા અનેક ગામોમાં પૂર આવ્યું છે. પરિસ્થિતિને કારણે તમામ સ્કૂલ-કોલેજો 7 સપ્ટેમ્બર સુધી બંધ રાખવામાં આવ્યા છે.
છત્તીસગઢના બલરામપુરમાં એક ડેમ તૂટી પડતાં પૂર આવ્યું, જેમાં એક જ પરિવારના છ સભ્યો સહિત સાત લોકોના મોત નિપજ્યાની આશંકા છે. પોલીસને અત્યાર સુધી ત્રણ મૃતદેહો મળી આવ્યા છે, જ્યારે અન્ય લોકોની શોધખોળ ચાલુ છે. રાજસ્થાનના કોટા અને જયપુરમાં પણ ભારે વરસાદને કારણે પૂર આવ્યું છે.
જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદથી અકનૂર વિસ્તારમાં એક મહિલા અને તેની પુત્રીનું મોત થયું, જ્યારે 40 લોકો પૂરમાં ફસાઈ ગયા હતા, જેમને બાદમાં BSF દ્વારા બચાવવામાં આવ્યા. શ્રીનગર-જમ્મુ નેશનલ હાઈવે પર ભારે ભૂસ્ખલન થતા રસ્તો સતત બીજા દિવસે બંધ રહ્યો હતો.

Leave a Reply