નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)એ UPI ટ્રાન્ઝેક્શન્સ માટે નવી મર્યાદાઓ જાહેર કરી છે. 15 સપ્ટેમ્બર 2025થી અમલમાં આવતા નવા નિયમ મુજબ, યુપીઆઈ દ્વારા મોટા વ્યવહારો જેમ કે ટેક્સ ચૂકવણી, લોન ઈએમઆઈ, વીમા પ્રીમિયમ, શેરબજારમાં રોકાણ માટે દૈનિક 10 લાખ રૂપિયા સુધીની લિમિટ આપવામાં આવી છે. અગાઉ આ મર્યાદા માત્ર 1 લાખ રૂપિયા હતી.
નવી લિમિટ ‘પર્સન ટુ મર્ચન્ટ’ ટ્રાન્ઝેક્શન્સ પર લાગુ પડશે. એટલે કે, વ્યક્તિ ફક્ત વેરિફાઈડ બિઝનેસ એકાઉન્ટમાં જ ટ્રાન્ઝેક્શન કરી શકશે, જેમાં વીમા કંપનીઓ, બ્રોકરેજ ફર્મ, ટેક્સ પોર્ટલ અને બેંકોની સેવાઓ સામેલ છે. યુપીઆઈથી વ્યક્તિ-થી-વ્યક્તિ ટ્રાન્ઝેક્શન માટે જૂની લિમિટ 1 લાખ રૂપિયા જ રહેશે.
નવી મર્યાદા મુજબ, ટેક્સ, લોન ઈએમઆઈ અને બિઝનેસ-ટુ-બિઝનેસ કલેક્શન માટે 24 કલાકમાં 10 લાખ રૂપિયા ટ્રાન્ઝેક્શન શક્ય હશે. વીમા અને કેપિટલ માર્કેટ માટે એક ટ્રાન્ઝેક્શન 5 લાખ અને 24 કલાકમાં 10 લાખ રૂપિયા લિમિટ રહેશે. ક્રેડિટ કાર્ડ બિલ માટે પણ પ્રતિ ટ્રાન્ઝેક્શન 5 લાખ અને દૈનિક 10 લાખ રૂપિયા લિમિટ લાગૂ થશે. ફોરેક્સ, ડિજિટલ એકાઉન્ટ ખોલવા અને FD માટે પણ 5 લાખ રૂપિયાની છૂટ મળશે.
NPCIએ તમામ બેંકો, પેમેન્ટ એપ્સ અને સર્વિસ પ્રોવાઈડર્સને આ નિયમો અમલમાં લાવવા સૂચના આપી છે. તેમ છતાં, બેંકો પોતાની પોલિસી અનુસાર કેટલીક લિમિટ નક્કી કરી શકે છે, જેથી કેટલાક કેસમાં નિયમો તરત લાગુ ન થઈ શકે. મોટાભાગની બેંકો માટે આ નિયમો 15 સપ્ટેમ્બરથી અમલમાં આવશે.

Leave a Reply