મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર અને મહિલા IPS અધિકારી વચ્ચે થયેલી ફોન અને વીડિયો કોલ પરની ઉગ્ર બોલાચાલીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ઘટનાનો વીડિયો બહાર આવ્યા બાદ રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા થઈ રહી છે.
આ બનાવ 31 ઓગસ્ટના બપોરે સોલાપુર જિલ્લાના કરમાલા વિસ્તારમાં થયો હતો. અહીંના કુર્દુ ગામમાં રસ્તા માટે મરૂમ (કાંકરી-કાંકરા) ના ગેરકાયદે ખોદકામની ફરિયાદ પર કાર્યવાહી કરવા ડીએસપી અંજલિ કૃષ્ણા પહોંચ્યા હતા. કાર્યવાહી દરમિયાન સ્થાનિક લોકો અને પોલીસ વચ્ચે તણાવ સર્જાયો હતો.
તે સમયે એનસીપીના કાર્યકર બાબા જગતાપે ઉપમુખમંત્રી અજિત પવારને સીધો ફોન કર્યો અને ફોન ડીએસપી અંજલિ કૃષ્ણાને આપ્યો. અંજલિ કૃષ્ણાએ ફોન પર અજિત પવારની ઓળખાણ ન કરી શકતાં બોલાચાલી થઈ. ગુસ્સે ભરાયેલા અજિત પવારે પોતાની ઓળખ આપી અને કાર્યવાહી અટકાવવાની સૂચના આપી. તેમણે જણાવ્યું કે મુંબઈમાં મરાઠા આંદોલન ચાલી રહ્યું હોવાથી પરિસ્થિતિ તંગ છે, તેથી હાલ કાર્યવાહી કરવાની જરૂર નથી.
IPS અધિકારીએ કાર્યવાહી ચાલુ રાખવાની વાત કરતા અજિત પવાર વધુ ગુસ્સે થયા અને કહ્યું, “હું ઉપમુખમંત્રી છું, કાર્યવાહી બંધ કરો, શું હું તમારી સામે એક્શન લઉં? તમારી પાસે આટલી હિંમત છે?” બાદમાં અજિત પવારે અધિકારીનો નંબર લઈને વીડિયો કોલ કર્યો અને સીધી વાતચીત કરીને કાર્યવાહી બંધ કરવા તથા તહસીલદાર સાથે સંપર્ક કરવા કહ્યું.
આ બનાવનો વીડિયો બહાર આવતાં અજિત પવારના બોલવાના સ્વર અંગે ભારે ટીકા થઈ રહી છે. આ દરમિયાન સ્થળ પર હંગામો મચાવનારા કેટલાક NCP કાર્યકરો સામે સરકારી કામમાં અવરોધનો ગુનો નોંધાયો છે. 4 સપ્ટેમ્બરના રોજ માધા તાલુકાના કુર્દુવાડી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયો હતો. મહિલા અધિકારી મૂળ કેરળની હોવાનું કહેવાય છે, જેઓ તાજેતરમાં મહારાષ્ટ્રમાં પોસ્ટેડ થઈ છે.

Leave a Reply