GST બાદ સરકારે નિકાસકારોને મોટી રાહત આપવાની તૈયારી, ટેરિફના દબાણમાંથી મળશે મુક્તિ

GST બાદ સરકારે નિકાસકારોને મોટી રાહત આપવાની તૈયારી, ટેરિફના દબાણમાંથી મળશે મુક્તિ

નવી દિલ્હી: જીએસટીમાં સામાન્ય લોકોને રાહત આપ્યા બાદ હવે મોદી સરકાર આંતરરાષ્ટ્રીય વેપાર સાથે જોડાયેલા મુદ્દે મહત્વપૂર્ણ પગલું ભરવા તૈયાર થઈ રહી છે. સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ, ટૂંક સમયમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા ઊંચા ટેરિફથી પ્રભાવિત ભારતીય નિકાસકારો માટે વિશેષ રાહત પેકેજ જાહેર કરવામાં આવશે.

અમેરિકા દ્વારા 50 ટકા સુધીના ટેરિફ લાગુ કરાયા બાદ ભારતીય ટેક્સટાઈલ, જેમ્સ એન્ડ જ્વેલરી, ચામડું, ફૂટવેર, કેમિકલ, એન્જિનિયરિંગ પ્રોડક્ટ્સ, કૃષિ અને દરિયાઈ નિકાસ ક્ષેત્રોમાં ગંભીર પડકારો ઊભા થયા છે. આ ક્ષેત્રના નિકાસકારોએ સરકાર સમક્ષ આર્થિક નુકસાનની ભરપાઈની માંગ કરી હતી. જેને ધ્યાનમાં રાખીને રાહત પેકેજની ઘોષણા પર વિચારણા ચાલી રહી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ, આ પેકેજમાં નાના અને મધ્યમ નિકાસકારોની લિક્વિડિટી સમસ્યા દૂર કરવી, કાર્યકારી મૂડીનો બોજો ઘટાડવો અને સૌથી અગત્યનું નોકરીઓ સુરક્ષિત રાખવા પર ભાર મૂકવામાં આવશે. નવા બજારો શોધાઈ જાય ત્યાં સુધી ઉત્પાદન અટકાવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે આ રાહત યોજનાનો અમલ કરવામાં આવશે.

આ પેકેજ કોવિડ-19 મહામારી દરમિયાન આપવામાં આવેલા રૂ. 20 લાખ કરોડના MSME રાહત પેકેજની તર્જ પર તૈયાર કરવામાં આવી રહ્યું છે. તે સમયે આ પગલાંએ ઉદ્યોગોને મોટી રાહત મળી હતી. સાથે સાથે, સરકાર એક્સપોર્ટ પ્રમોશન મિશન પર પણ કામ કરી રહી છે, જે ભારતના નિકાસ બજારને વૈશ્વિક સ્તરે વધુ મજબૂત બનાવવા માટે રચાયું છે.

આ સાથે જ, જીએસટી કાઉન્સિલની 56મી બેઠકમાં સામાન્ય જનતાને પણ મોટી રાહત આપવામાં આવી છે. હવે દેશમાં માત્ર બે જ સ્લેબ રહેશે – 5 ટકા અને 18 ટકા. હાનિકારક અને લક્ઝરી પ્રોડક્ટ્સ માટે 40 ટકાનો અલગ સ્લેબ નક્કી કરવામાં આવ્યો છે. આ સુધારા 22 સપ્ટેમ્બરથી અમલમાં આવશે.

 

Leave a Reply

Your email address will not be published.