દિલ્હીથી કાશ્મીર સુધી પૂરનો કહેર : 24 નદીઓ અને 50 ડેમમાં ગંભીર સંકટ

દિલ્હીથી કાશ્મીર સુધી પૂરનો કહેર : 24 નદીઓ અને 50 ડેમમાં ગંભીર સંકટ

દેશના અનેક રાજ્યોમાં સતત વરસી રહેલા વરસાદે હાહાકાર મચાવ્યો છે. કેન્દ્રીય જળ આયોગ (CWC) ના અહેવાલ મુજબ હાલમાં દેશની 24 નદીઓમાં ગંભીર પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે, જ્યારે 50 જેટલા ડેમ ખતરાની સપાટી નજીક પહોંચી ગયા છે. પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને ઓડિશા જેવા રાજ્યોમાં નદીઓના જળસ્તરમાં અતિશય વધારો થતાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ગુજરાતમાં પણ નર્મદા, તાપી અને મહિસાગર નદીઓના જળસ્તરમાં વધારો થવાથી પૂરનું સંકટ ઊભું થયું છે.

હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરના ડેમમાંથી પાણી છોડાતા પંજાબની સતલજ, બિયાસ અને રાવી નદીઓ ભયજનક સપાટીએ વહી રહી છે. પરિણામે પંજાબના તમામ 23 જિલ્લામાં 1655થી વધુ ગામોમાં 3.55 લાખથી વધુ લોકો પૂરથી અસરગ્રસ્ત થયા છે. રાજ્યમાં 37 વર્ષ પછી સૌથી ગંભીર પૂર જેવી સ્થિતિ ઊભી થઈ છે. 1 ઑગસ્ટથી 3 સપ્ટેમ્બર દરમિયાન 37 લોકોએ જીવ ગુમાવ્યો છે. બચાવ કામગીરી માટે સેના અને NDRFની ટીમો સતત કાર્યરત છે.

દિલ્હીમાં યમુના નદી છેલ્લા ચાર દિવસથી ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે. યમુના નજીકના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે, જેમાં રાજઘાટ, કશ્મીરી ગેટ અને મુખ્યમંત્રી કાર્યાલય જેવા વિસ્તાર સામેલ છે. સુરક્ષા કારણોસર 10,000થી વધુ લોકોને રાહત શિબિરોમાં સ્થળાંતર કરાયા છે.

જમ્મુ-કાશ્મીરમાં ઝેલમ નદી બેકાબૂ બનતાં શ્રીનગર અને દક્ષિણ કાશ્મીરના વિસ્તારોમાં 2014 જેવી પરિસ્થિતિ ફરી સર્જાઈ છે. ઓડિશાની બુરહાબલંગ, સુવર્ણરેખા અને મહાનદી નદીઓ તેમજ બિહાર અને ઉત્તર પ્રદેશની ગંગા અને કોસી નદીઓ ખતરાની સપાટી ઉપર વહી રહી છે.

હવામાન વિભાગે ચેતવણી આપી છે કે આગામી દિવસોમાં મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે, જેના કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે.

 

Leave a Reply

Your email address will not be published.