અમદાવાદ: રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત થયેલા શિક્ષકોને ગુજરાત સરકાર દ્વારા એક વિશેષ ભેટ આપવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેર કર્યું કે, રાજ્યભરમાં અને રાજ્યની બહાર ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)ની તમામ બસોમાં આ પ્રકારના એવોર્ડ વિજેતા શિક્ષકો આજીવન મફત મુસાફરીનો લાભ મેળવી શકશે.
આ નિર્ણય શિક્ષણ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર શિક્ષકોના સન્માન અને પ્રોત્સાહન માટે લેવામાં આવ્યો છે. ગુજરાત રાજ્ય એવોર્ડી ટીચર ફેડરેશન દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવાના અનુસંધાનમાં આ યોજના અમલમાં આવી છે.
હાલ સુધી રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે પુરસ્કૃત થયેલા કુલ 957 શિક્ષકોને તરત જ આ લાભ મળશે. ભવિષ્યમાં જે પણ શિક્ષકો આ પ્રકારના એવોર્ડથી સન્માનિત થશે, તેમને પણ આ યોજનાનો લાભ મળતો રહેશે. સરકારનો આ પ્રયાસ શિક્ષકોના યોગદાનને ઓળખ આપવાનો અને તેમને પ્રોત્સાહિત કરવાનો મહત્વપૂર્ણ પ્રયાસ ગણાય છે, જેના પરિણામે રાજ્યમાં શિક્ષણનું સ્તર વધુ ઊંચું લાવવામાં મદદ મળશે.

Leave a Reply