અમદાવાદ: રાજ્યમાં ભારે વરસાદી માહોલ વચ્ચે અમદાવાદમાં સતત બીજા દિવસે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી. શનિવારે સાંજથી શરૂ થયેલો ભારે વરસાદ મોડી રાત સુધી ચાલુ રહ્યો હતો. જેના કારણે સાબરમતી નદી પર આવેલ વસણા બેરેજમાંથી 32,410 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. હાલ બેરેજના 27 દરવાજા ખોલવામાં આવ્યા છે અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને ચેતવણી આપવામાં આવી છે.
આ દરમ્યાન બનાસકાંઠાના દાંતા તાલુકાના મંડાળી પાસે સાબરમતી નદી વચ્ચે 8 લોકો ફસાયા હતા. SDRF ટીમ અને દાંતા મામલતદાર કચેરીના સ્ટાફે તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન ચલાવીને તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.
વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે આજે અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. ગાંધીનગરમાં મુખ્ય સચિવ પંકજ જોશીની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. GPSC પરીક્ષા કેન્દ્રોમાં તકેદારી રાખવા જિલ્લાના કલેક્ટરોને સૂચના આપવામાં આવી હતી. સાથે જ વિવિધ ડેમના જળસ્તર અને વરસાદની આવક અંગે પણ સમીક્ષા કરવામાં આવી હતી. સંભવિત કટોકટી પરિસ્થિતિને પહોંચી વળવા માટે 12 NDRF અને 20 SDRFની ટીમો તૈનાત કરવામાં આવી છે.
વલસાડ જિલ્લામાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત બન્યું છે. કપરાડામાં માત્ર 8 કલાકમાં 6 ઇંચ વરસાદ અને 24 કલાકમાં 7.8 ઇંચ વરસાદ નોંધાયો હતો. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 209 તાલુકામાં વરસાદ થયો હતો. તેમાં બોટાદમાં 3.50 ઇંચ, સાબરકાંઠાના પોશીનામાં 3.25 ઇંચ, રાજકોટના પડધરીમાં 3.15 ઇંચ, સાબરકાંઠાના તલોદ અને અમદાવાદના સાણંદમાં 3 ઇંચ વરસાદ નોંધાયો હતો. અન્ય વિસ્તારોમાં જામકંડોરણા (2.85 ઇંચ), પ્રાંતિજ (2.75 ઇંચ), બાયડ અને ઉમરગાંવ (2.60 ઇંચ)માં વરસાદ પડ્યો હતો. શનિવારે કુલ 50 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો.

Leave a Reply