ભાજપના નેતા વિગ્નેશ શિશિરે અલ્હાબાદ હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને દાવો કર્યો હતો કે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી બ્રિટનના નાગરિક છે અને તેમની ભારતીય નાગરિકતા રદ થવી જોઈએ. આ દાવાને આધારે ઈન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ કાર્યવાહી શરૂ કરી છે અને વિગ્નેશ શિશિરને સમન્સ પાઠવ્યા છે.
માહિતી મુજબ, ઈડી રાહુલ ગાંધીની વિદેશી કંપનીઓ, વિદેશી બેન્ક ખાતાઓ તેમજ શક્ય વ્યવહારો વિશે વિગતો મેળવવા માંગે છે. સાથે જ, ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA)ના ઉલ્લંઘનની સંભાવના અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. વિગ્નેશ શિશિરે જણાવ્યું છે કે તેમને EDનું સમન્સ મળ્યું છે અને તેઓ 9 સપ્ટેમ્બરે હાજરી આપીને જરૂરી માહિતી પ્રદાન કરશે.
અગાઉ, હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન વિગ્નેશ શિશિરે દાવો કર્યો હતો કે યુકે સરકારે રાહુલ ગાંધીની નાગરિકતા અંગે માહિતી ભારત સરકાર સાથે શેર કરી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે લંડન, વિયેતનામ અને ઉઝબેકિસ્તાનથી મળેલા દસ્તાવેજો આધારિત પુરાવા પણ તેમની પાસે છે.
અરજીમાં દલીલ કરવામાં આવી છે કે બ્રિટિશ સરકારના ઈમેલ્સ અને દસ્તાવેજો રાહુલ ગાંધીની વિદેશી નાગરિકતા દર્શાવે છે. ભારતના કાયદા મુજબ બેવડી નાગરિકતા મંજૂર નથી, તેથી રાહુલ ગાંધીને ભારતમાં મતદાન કરવાનો અથવા ચૂંટણી લડવાનો અધિકાર ન હોવો જોઈએ.
હવે ઈડીની તપાસને કારણે આ મામલામાં રાજકીય ગરમાવો વધી રહ્યો છે અને રાહુલ ગાંધીની નાગરિકતા અંગેની ચર્ચા ફરીથી કેન્દ્રસ્થાને આવી છે.

Leave a Reply