ગુજરાતમાં કાલે થયેલા ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ જનજીવન ખોરવાયું હતું. એ દરમિયાન પંચમહાલ જિલ્લાના ગોધરા નજીક રેલવે ટ્રેક ધોવાઈ જતાં એક મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. ભારે વરસાદને કારણે પાટા નીચેની જમીન ધોવાઈ જતાં મેમુ ટ્રેનને સમયસર અટકાવી દેવામાં આવી હતી, જેના કારણે મોટી જાનહાનિથી બચાવ થયો.
માહિતી મુજબ, ગોધરા–આણંદ રૂટ પર દોડતી મેમુ ટ્રેનનો લોકોપાઈલટ સમયસૂચકતા દાખવી હતી. ટ્રેક ધોવાઈ ગયો હોવાની જાણ થતાં જ તેમણે ટ્રેન તાત્કાલિક અટકાવી દીધી હતી. સુરક્ષા હેતુસર ટ્રેનને ટીંબા રેલવે સ્ટેશને એક કલાકથી વધુ સમય સુધી રોકી રાખવામાં આવી હતી.

ત્યાર બાદ રેલવેના અધિકારીઓ અને ટેક્નિકલ સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા અને ટ્રેકની તાત્કાલિક મરામત શરૂ કરી હતી. એક કલાકથી વધુ મહેનત બાદ ટ્રેક ફરી કાર્યક્ષમ થતાં ટ્રેનનું સંચાલન ધીમે ધીમે શરૂ કરવામાં આવ્યું હતું.
ટ્રેનમાં મુસાફરી કરતા એક મુસાફરે જણાવ્યું હતું કે અચાનક ટ્રેન રોકાઈ જતાં મુસાફરોમાં થોડી ગભરામણ ફેલાઈ હતી. જો કે, અધિકારીઓના ત્વરિત પગલાં અને લોકોપાઈલટની સતર્કતાના કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ હતી.

આ ઘટનાથી મુસાફરોને થોડો સમય અસુવિધાનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ સૌએ રાહત અનુભવી હતી કે કોઈ જાનહાનિ થઈ નથી.

Leave a Reply