ભાજપ વર્કશોપમાં વડાપ્રધાન મોદીનો સાદગીભર્યો અંદાજ, સામાન્ય સાંસદની જેમ છેલ્લી હરોળમાં બેઠા

ભાજપ વર્કશોપમાં વડાપ્રધાન મોદીનો સાદગીભર્યો અંદાજ, સામાન્ય સાંસદની જેમ છેલ્લી હરોળમાં બેઠા

નવી દિલ્હી: ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પહેલાં ભાજપ દ્વારા સાંસદોની વિચારમંથન માટે બે દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું, જે રવિવારે સંસદ પરિસરમાં શરૂ થયું. આ વર્કશોપમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભાજપના તમામ સાંસદોએ ભાગ લીધો. અહીં પીએમ મોદીનો સાદગીભર્યો અને અનોખો અંદાજ જોવા મળ્યો – તેઓ એક સામાન્ય સાંસદની જેમ છેલ્લી હરોળમાં બેઠા હતા. તેમની આ તસવીર સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ ગઈ.

વર્કશોપની શરૂઆતમાં ભાજપ સાંસદોએ જીએસટી સુધારા માટે વડાપ્રધાન મોદીને અભિનંદન પાઠવ્યા. ત્યારબાદ સાંસદોને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી સંબંધિત માર્ગદર્શન આપવામાં આવ્યું. આ દરમિયાન ગોરખપુરના સાંસદ અને અભિનેતા રવિ કિશને સોશિયલ મીડિયા પર પીએમ મોદીની તસવીર પોસ્ટ કરી અને લખ્યું કે – “સાંસદોની વર્કશોપમાં અંતિમ હરોળમાં બેઠેલા પીએમ મોદી. આ છે ભાજપની તાકાત, જ્યાં દરેક વ્યક્તિ કાર્યકર છે.” તેમની આ પોસ્ટ ઝડપથી વાયરલ થઈ ગઈ.

જીએસટી મુદ્દે સાંસદ જગદંબિકા પાલે પ્રશંસા કરતાં કહ્યું કે પીએમ મોદીએ આંતરરાષ્ટ્રીય ટેરિફના દબાણ સામે મહત્વપૂર્ણ નિર્ણય લીધો. તેમણે વિપક્ષની ટીકા કરતાં જણાવ્યું કે, “એક સમયે વિપક્ષ જીએસટીને ‘ગબ્બરસિંહ ટેક્સ’ કહેતો હતો, અને આજે તે જ સુધારાનો શ્રેય લેવાનો પ્રયત્ન કરી રહ્યો છે.”

આ વર્કશોપનો હેતુ સાંસદોની સંસદીય કુશળતા, શાસન રણનીતિઓ અને રાજકીય સંચારને વધુ મજબૂત કરવાનો હતો. સાથે જ કેન્દ્ર સરકારના વિકાસ એજન્ડાને આગળ ધપાવવા અને વિપક્ષની ટીકા સામે વ્યૂહરચના ગોઠવવા મુદ્દે ચર્ચા થઈ.

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી મંગળવારે યોજાનાર છે, તે પહેલાં સાંસદોને મતદાન પ્રક્રિયા અંગે માહિતી આપવામાં આવી. વર્કશોપ બાદ સોમવારે એનડીએ સાંસદો માટે વડાપ્રધાન મોદીના નિવાસસ્થાને ડીનર પાર્ટીનું આયોજન હતું, પરંતુ પંજાબ સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં પૂરની ગંભીર પરિસ્થિતિને કારણે આ કાર્યક્રમ રદ કરવામાં આવ્યો.

 

Leave a Reply

Your email address will not be published.