નેપાળમાં ભડકેલી હિંસાની જ્વાળાઓ હવે ભારતીય સરહદ સુધી પહોંચી ગઈ છે. બુધવારે ઝુલાઘાટ અને ધારચુલાને અડીને આવેલા નેપાળના દાર્ચુલા અને બૈતાડી જિલ્લામાં હિંસક દેખાવો થયા. દાર્ચુલામાં દેખાવકારોએ કોંગ્રેસ અને યુએમએલ (એમાલે)ના કાર્યાલયોમાં તોડફોડ કરી હતી તેમજ આગચંપી કરતા વિસ્તારમાં ભારે તણાવ ફેલાયો હતો.
નેપાળમાં ભ્રષ્ટાચાર અને સોશિયલ મીડિયા પ્રતિબંધ સામે ઉઠેલી ચિંગારી હવે વિકરાળ બની ગઈ છે. મંગળવારે દેખાવકારોએ સંસદ ભવન, રાષ્ટ્રપતિ ભવન અને સુપ્રીમ કોર્ટને આગ ચાંપી દીધી હતી.
વડાપ્રધાન કેપી શર્મા ઓલીના નિવાસસ્થાન સહિત અનેક મંત્રીઓ અને નેતાઓના ઘરોમાં તોડફોડ અને આગચંપી કરવામાં આવી હતી. પરિસ્થિતિ બેકાબૂ બનતાં વડાપ્રધાન ઓલીએ રાજીનામું આપવું પડ્યું હતું.
ઝુલાઘાટ આંતરરાષ્ટ્રીય પુલથી આશરે 25 કિમી દૂર બૈતાડીના સાહિલેક બજારમાં પ્રદર્શનકારીઓએ બજાર બંધ કરાવીને સરકાર સામે ગુસ્સો વ્યક્ત કર્યો. સ્થાનિક લોકોએ જણાવ્યું કે યુવાનો સોશિયલ મીડિયા પર લાદવામાં આવેલા પ્રતિબંધ સામે સડક પર ઉતર્યા હતા.
પિથોરાગઢના ધારચુલાને અડીને આવેલા નેપાળના દાર્ચુલામાં પણ હોબાળો મચ્યો. સવારે દાર્ચુલા બહુમુખી કેમ્પસમાં ભેગા થયેલા લોકો બજારમાં સરઘસ કાઢીને વિરોધ કર્યો હતો. બાદમાં તેમણે સીડીઓ ઓફિસ પર પથ્થરમારો કર્યો.
બપોર બાદ પ્રદર્શન હિંસક બનતાં કોંગ્રેસ અને યુએમએલ-માઓવાદી કાર્યાલયોને નિશાન બનાવવામાં આવ્યા. પોલીસ અને સશસ્ત્ર દળ ઘટનાસ્થળે પહોંચ્યા છતાં પ્રદર્શનકારીઓ સામે લાચાર દેખાયા હતા.

Leave a Reply