પહલગામ પીડિતોનો આક્રોશ: “પાકિસ્તાન સાથે મેચ નહીં, પહેલા અમારા ઘા ભરો”

પહલગામ પીડિતોનો આક્રોશ: “પાકિસ્તાન સાથે મેચ નહીં, પહેલા અમારા ઘા ભરો”

જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં પોતાના પ્રિયજનો ગુમાવનારા પરિવારો એશિયા કપમાં રમાનાર ભારત-પાકિસ્તાન મેચનો સખત વિરોધ કરી રહ્યા છે. પીડિત પરિવારોનું કહેવું છે કે જ્યારે પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓએ 26 નિર્દોષ પ્રવાસીઓને નિશાન બનાવી ગોળી મારી દીધી હતી, ત્યારે પાકિસ્તાન સાથે કોઈપણ પ્રકારનો સંબંધ રાખવો યોગ્ય નથી.

પહલગામ હુમલામાં પિતા અને ભાઈને ગુમાવનારા સાવન પરમારે જણાવ્યું, “જ્યારથી ભારત-પાકિસ્તાન મેચના સમાચાર આવ્યા છે, ત્યારથી અમે ખૂબ નિરાશ છીએ. પાકિસ્તાન સાથે મેચ નહીં રમવી જોઈએ. જો રમવી જ હોય તો પહેલા મારા 16 વર્ષના ભાઈને પાછો લાવો, જેને નિર્દયતાથી મારી નાખવામાં આવ્યો હતો. ઓપરેશન સિંદૂર હવે નકામું લાગે છે.”

સાવનની માતા કિરણ યતીશ પરમારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સીધો સવાલ કર્યો કે, “હજુ અમારા ઘા રૂઝાયા નથી. જો ઓપરેશન સિંદૂર અધૂરું છે તો ભારત-પાકિસ્તાન મેચ કેમ રમાઈ રહી છે? દેશના લોકોએ પહલગામના પીડિત પરિવારો સાથે સહાનુભૂતિ વ્યક્ત કરવી જોઈએ.”

હુમલામાં પતિ ગુમાવનારી નવપરિણીત ઐશાન્યા દ્વિવેદીએ પણ BCCI પર કટાક્ષ કર્યો. તેમણે કહ્યું કે, “BCCI કોઈને બંદૂકની અણીએ મેચ જોવા મજબૂર કરી શકતું નથી. 1-2 ખેલાડીઓ સિવાય કોઈએ બહિષ્કાર કર્યો નહીં, જે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે.”

ગત 22 એપ્રિલે પહલગામ હુમલામાં 25 ભારતીયો અને 1 નેપાળી નાગરિકનું મોત થયું હતું. ત્યારબાદ કેન્દ્ર સરકારે ઓપરેશન સિંદૂર ચલાવી પાકિસ્તાન અને PoKમાં સ્થિત અનેક આતંકવાદી ઠેકાણાઓ તથા વાયુ સંરક્ષણ પ્રણાલી પર કાર્યવાહી કરી હતી.

હવે પીડિત પરિવારોનો આક્ષેપ છે કે જો પાકિસ્તાન સાથે ક્રિકેટ રમાઈ રહ્યું છે તો આ કાર્યવાહી અધૂરી અને બિનઅસરકારક સાબિત થાય છે.

 

Leave a Reply

Your email address will not be published.