આજ રોજ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે અમદાવાદના નારણપુરામાં આંતરરાષ્ટ્રીય સ્તરના વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કર્યું. ઉદ્ઘાટન સમારોહમાં તેમણે જણાવ્યું કે વર્ષ 2030ની કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં રમાશે અને ભારત 2036ની ઓલિમ્પિક્સ માટે પણ પ્રયાસ કરી રહ્યું છે.
અમિત શાહે જણાવ્યું કે આ ગ્રીન બેલ્ટ વર્ષ 1960થી ખાલી પડ્યો હતો, પરંતુ હવે તે વિશ્વ-કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં પરિવર્તિત થઈ ગયું છે. તેમણે આ પ્રોજેક્ટ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો.
ગૃહમંત્રીએ ઉમેર્યું, “વર્ષ 2019 પછી હું વડાપ્રધાન પાસે ગયો અને કહ્યું હતું કે મારા ઘરથી માત્ર 400 મીટર દૂર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવું છે. બાદમાં વડાપ્રધાનજી બોલ્યા, ‘સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવો, પરંતુ વર્લ્ડ ક્લાસ બનાવો.’”

આ કોમ્પ્લેક્સ દુનિયાનું સૌથી આધુનિક અને ભારતનું સૌથી મોટું સ્પોર્ટ્સ ફેસિલિટી છે, જે સંપૂર્ણપણે ગ્રીન ટેકનોલોજી પર આધારિત છે. અહીં વિવિધ રમતો માટે આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે, જેમાં ફિટ ઇન્ડિયા ઝોનનો સમાવેશ થાય છે. મંત્રીશ્રીના જણાવ્યા મુજબ, “ભારતને મેડલ અપાવવું એ આપણો લક્ષ્ય હોવું જોઈએ.”
આ પ્રસંગે અમિત શાહે સવારે અમદાવાદ અને ગાંધીનગરમાં ચાર કાર્યક્રમોમાં ભાગ લીધો, જેમાં ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ‘હિન્દી દિવસ સમારોહ 2025’ અને ‘5મા અખિલ ભારતીય રાજભાષા સંમેલન’નો શુભારંભ સામેલ છે.
ત્યારબાદ તેઓ સરદારધામ કન્યા છાત્રાલયના કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા, અને ત્યારબાદ નારણપુરામાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કર્યું.

Leave a Reply